04 September, 2026 08:13 AM IST | Mumbai | Rohit Parikh
ચંદનબહેન બૌઆ.
ઘાટકોપર (ઈસ્ટ)ની નાયડુ કૉલોનીમાં રહેતાં અને જૂનાગઢના ગિરનાર તીર્થમાં ચાતુર્માસિક આરાધના કરવા ગયેલાં ફિટ ઍન્ડ ફાઇન ૬૬ વર્ષનાં ચંદન બૌઆ મંગળવારે રાતના અચાનક હાર્ટ-અટૅક આવવાથી અવસાન પામ્યાં હતાં. ચંદનબહેને મૃત્યુના બે કલાક પહેલાં તેમના પરિવારના સભ્યો સાથે વિડિયો-કૉલ પર તેમની દૈનિક આરાધનાની હર્ષોલ્લાસથી વાતો કરી હતી. પરિવારના સભ્યો કહે છે કે અમારા માટે ચંદનબહેન ગિરનારની ગોદમાં સમાધિપૂર્વક મૃત્યુ પામ્યાં એનો આનંદ છે, પણ અમે તેમની સેવા ન કરી શક્યા એનો ગમ વધારે છે.
એ રાતના શું બન્યું હતું?
મમ્મી પરમ પૂજ્ય આચાર્ય શ્રી કવીન્દ્રસાગર સૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં ગિરનારમાં ચાતુર્માસિક આરાધના કરી રહ્યાં હતાં એમ જણાવતાં ચંદનબહેનના પુત્ર વિજયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યારથી ગિરનાર ચાતુર્માસ માટે ગયાં છે ત્યારથી રોજ અમારા પરિવાર સાથે વિડિયો-કૉલથી વાત કરતાં હતાં. એ દિવસે સાંજના ૭.૩૦ વાગ્યે મમ્મીએ મને વિડિયો-કૉલ કર્યો હતો પણ હું મારા કામમાં બિઝી હોવાથી મેં તેમની સાથે રેગ્યુલર કૉલ પર તેમની સાથે વાત કરી હતી. ત્યારે તેમની કોઈ હેલ્થ બાબતની ફરિયાદ નહોતી. ત્યાર પછી તેમણે રાતના ૯.૩૦ વાગ્યાની આસપાસ મારા પપ્પા, મારી પત્ની અને પરિવારના અન્ય સભ્યો સાથે પણ સરસ રીતે તેમની આરાધના અને ચાતુર્માસ કેવા જઈ રહ્યા છે એની વાતો કરી હતી. અચાનક રાતના ૧૨ વાગ્યાની આસપાસ મને તેમની સાથેના કાર્યકરોએ જૂનાગઢની હૉસ્પિટલમાંથી ફોન કરીને કહ્યું હતું કે મમ્મી ઇઝ નો મોર. અચાનક મમ્મીના અવસાનના શૉકિંગ સમાચારથી હું અકળાઈ ગયો હતો. મેં કાર્યકરને કહ્યું કે મને વિડિયો-કૉલ પર મમ્મીનાં દર્શન કરાવો. કાર્યકરોઅે મમ્મીનો ચહેરો વિડિયો-કૉલ કરીને બતાવ્યો તો તેમના મોઢામાંથી ફીણ નીકળી ગયાં હતાં. આ જોઈને હું અવાક થઈ ગયો હતો. બે કલાક પહેલાં તો આખા પરિવારે મમ્મી સાથે વાતચીત કરી હતી ત્યારે મમ્મીની હેલ્થ માટે કોઈ જ ફરિયાદ નહોતી. અચાનક મમ્મીનું ડેથ. અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવાર સાથે વાતચીત થયા પછી મમ્મી તેમના રૂમમાં સૂવાની તૈયારી કરતાં હતાં ત્યાં જ તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, પણ ગૅસ કે અૅસિડિટી હશે એવી શંકા સાથે તેમણે અૅસિડિટીની દવા લીધી હતી. તેમના રૂમ-પાર્ટનરો અને કાર્યકરોએ તેમને બામ લગાડી આપ્યું હતું. એ દરમ્યાન તેઓ તેમની જાતે જ ઊલટી કરવા અને ટૉઇલેટ ગયાં હતાં. દુખાવો થોડી વારમાં અસહ્ય થઈ ગયો હતો. મમ્મી સતત ભગવાન નેમિનાથ દાદાના જાપ કરતાં હતાં. તેમની વેદના જોતાં તેમને તરત જ પ્રાઇવેટ કારમાં નજીકની પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. જોકે ત્યાંના ડૉકટરોએ
તેમનો કાર્ડિયોગ્રામ કાઢીને મૃત જાહેર કરી દીધાં હતાં.’
મમ્મી નિયમિત યોગ અને વૉક કરતાં અને પોતાની તંદુરસ્તીની પણ ખાસ કાળજી રાખતાં. તેઓ હંમેશાં હસમુખા રહેતાં, સૌની સાથે હળીમળીને રહેતાં અને ફરવાનો પણ શોખ ધરાવતાં. તેઓ અમને જીવન જીવવાનું શીખવી ગયાં છે. - પુત્ર વિજય બૌઆ
ગઈ કાલે ઘાટકોપરમાં અંતિમ સંસ્કાર થયા
ચંદનબહેનના મૃત્યુના સમાચાર મળતાં જ તેમના પરિવારના સભ્યો બુધવારે સવારે ગિરનાર પહોંચી ગયા હતા. ત્યાંથી તેમનો પાર્થિવ દેહ લઈને ગઈ કાલે સવારે તેઓ ઘાટકોપર પહોંચ્યા હતા અને અંતિમ દર્શન બાદ ઘાટકોપરની હિન્દુ સ્મશાન ભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા