04 September, 2026 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિત્ય ઠાકરે
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયનના મોતના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની તપાસનો આદેશ અપાયા બાદ શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ ગુરુવારે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આ કેસ સાથે તેમને કોઈ જ લેવાદેવા નથી અને અેથી તેઓ આ મામલે કોઈ ટિપ્પણી કરવા માગતા નથી.
નાશિક ખાતે પત્રકારો સાથે વાતચીતમાં હાઈ કોર્ટના આદેશ વિશે પુછાયેલા પ્રશ્નના જવાબમાં આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે ‘આ એક એવો વિષય છે જેની સાથે મારે કોઈ જ લેવાદેવા નથી અને મેં અેના વિશે વિચાર્યું પણ નથી. તો પછી મારે આના પર કોઈ પ્રતિક્રિયા શા માટે આપવી જોઈએ?’
ઉલ્લેખનીય છે કે બુધવારે બૉમ્બે હાઈ કોર્ટે ૬ વર્ષ સુધી ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) ન નોંધવા બદલ મુંબઈ પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી અને કેસની તપાસ CBIને સોંપવાનો આદેશ આપ્યો હતો. ૨૦૨૦ની ૮ જૂને મલાડમાં એક બિલ્ડિંગના ૧૪મા માળેથી પડી જવાથી દિશા સાલિયનનું મોત થયું હતું જેને મુંબઈ પોલીસે અકસ્માતે થયેલું મોત (ADR) ગણાવ્યું હતું. જોકે દિશાના પિતા સતીશ સાલિયન આ કેસમાં મોટા માથાની સંડોવણી ગણાવી હતી, જેમાં એક શંકાની સોય આદિત્ય ઠાકરે તરફ પણ કરવામાં આવી હતી.