ભાંડુપનો ૭ વર્ષનો છોકરો વિરારના રિસૉર્ટના સ્વિમિંગ-પૂલમાં ડૂબી ગયો

19 May, 2026 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પહેલાં પણ આવી અનેક હૃદયદ્રાવક ઘટનાઓ બની ચૂકી છે. ૨૦ માર્ચે પણ એક રિસૉર્ટમાં રમતી વખતે ૧૫ વર્ષના આર્યન કનોજિયાનું મોત થયું હતું

પ્રતીકાત્મક તસવીર

ઉનાળાની રજાઓનો આનંદ માણવા ગયેલા એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વિરાર નજીક આવેલા નવાપુરના એક રિસૉર્ટમાં રવિવારે બપોરે સાડાત્રણ વાગ્યે ૭ વર્ષના બાળકનું સ્વિમિંગ-પૂલમાં ડૂબી જવાથી મોત થયું હતું. બાળકની ઓળખ લવિત યાદવ તરીકે થઈ છે. અર્નાળા મરીન પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં ઉનાળાના વેકેશનને કારણે વસઈ-વિરારમાં આવેલા રિસૉર્ટ્સમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે, પણ આ ઘટનાએ રિસૉર્ટ્સમાં પ્રવાસીઓની, ખાસ કરીને બાળકોની સુરક્ષાને લઈને ફરી એક વાર ગંભીર ચિંતા જગાવી છે.

અર્નાળા મરીન પોલીસના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાંડુપના રામલાલ યાદવ રવિવારે પોતાના પૌત્રોને લઈને વસઈના નવાપુરના મંથન રિસૉર્ટ આવ્યા હતા. બપોરે ત્રણ વાગ્યે બધાં બાળકો રિસૉર્ટના વેવ-પૂલમાં રમી રહ્યાં હતાં. રમતાં-રમતાં અચાનક લવિત પાણીમાં ડૂબી ગયો હતો. આ ઘટના ધ્યાનમાં આવતાં રિસૉર્ટના લાઇફગાર્ડે તેને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢ્યો અને વિરારની હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ કેસમાં ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’

આ પહેલી ઘટના
વસઈ-વિરારના રિસૉર્ટ્‌સમાં સ્વિમિંગ-પૂલમાં ડૂબી જવાની આ કંઈ પ્રથમ ઘટના નથી. આ પહેલાં પણ આવી અનેક હૃદયદ્રાવક ઘટનાઓ બની ચૂકી છે. ૨૦ માર્ચે પણ એક રિસૉર્ટમાં રમતી વખતે ૧૫ વર્ષના આર્યન કનોજિયાનું મોત થયું હતું. એ ઉપરાંત મે ૨૦૨૪માં રાનગાવના એક રિસૉર્ટમાં ૭ વર્ષની સમીક્ષા જાધવ અને ૧૦ વર્ષની રિદ્ધિ માનેનું પણ ડૂબી જવાથી મોત થયું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓ રિસૉર્ટના સંચાલકોની બેદરકારી અને સ્વિમિંગ-પૂલની સુરક્ષા-વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભા કરે છે.

mumbai news mumbai virar bhandup mumbai police