ડાકોરમાં સેવકે મહિલાઓને નિજ મંદિરમાં પ્રવેશ અપાવતા થયો વિવાદ

28 May, 2021 01:16 PM IST  |  Nadiad | Agency

મંદિરની ૨૦૦ વર્ષ જૂની પરંપરા આ બનાવ પછી તૂટી હોવાની પોલીસ-ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

યાત્રાધામ ડાકોરમાં ભગવાનના ગર્ભગૃહમાં સાત મહિલા સાથે વારાદારી સેવકના પ્રવેશને લઈ વિવાદ થયો છે. સવારના સમયે નિજ મંદિરમાં પ્રવેશી રહેલા સેવકને નોકરી પર હાજર પટાવાળાએ રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેને ધક્કો મારી મહિલાઓ સાથે સેવકે નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો તેમ જ ભગવાનનાં ચરણ સ્પર્શ કરતાં સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
ડાકોર મંદિર ટ્રસ્ટ તરફથી પોલીસને ગઈ કાલે આપેલી એક અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે પરેશભાઈ રમેશચંદ્ર સેવક નામની વ્યક્તિએ સવારના સમયે ૭ મહિલા સાથે રાજા રણછોડના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. એટલું જ નહીં, આ વ્યક્તિએ મંદિર નીતિ-નિયમો વિરુદ્ધ જઈ મહિલાઓને ઠાકોરજીનાં ચરણ સ્પર્શ કરાવ્યા હતા. આ ટૅમ્પલ કમિટીના નીતિ-નિયમ વિરુદ્ધનું કૃત્ય વારાદારી સેવકે કરીને પરંપરાના ધજાગરા ઉડાવ્યા છે. મળેલી અરજી અનુસંધાને પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર વિવાદ જેને કારણે ઊભો થયો છે તે પરેશભાઈ રમેશચંદ્ર સેવકે જણાવ્યું હતું કે આજે અમારા પરિવારનો સેવાનો વારો હતો. અમારો વારો હોય ત્યારે હું મારા પરિવારના કોઈ પણ સભ્યને દર્શન કરવા લઈ જઈ શકું છું. મારા વારાદારીઓ કે સેવકો કોઈને કશું પૂછવાનું હોતું નથી. અમે અમારા પરિવારના સભ્યોને નિજ મંદિરમાં લઇ જઈ શકીએ છીએ. જેમને હું મારી સાથે લઈ ગયો હતો એ મારી પત્ની અને મારા ભાભી સહિતના પરિવારના સભ્યો હતા.

gujarat ahmedabad nadiad