મારો એકરાર... આત્માને બચાવીશ અનર્થદંડથી

14 September, 2026 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરિસ્થિતિના કારણે કદાચ તમારાથી ગુસ્સો થઈ જાય તો એ અર્થદંડ કહેવાય; પણ પછી એ ગુસ્સાને તમે કલાકો, દિવસો કે મહિનાઓ સુધી મનમાં વાગોળ્યા કરો તો એ અનર્થદંડ કહેવાય .

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એક એવું તારક તત્ત્વ છે જે આત્માને પાપ અને કર્મોથી બચાવીને પરમાત્મા બનવાની દિશા તરફ ગતિ કરાવે છે.

જૈનદર્શનમાં બે શબ્દ આવે છે : ૧. અર્થદંડ અને ૨. અનર્થ દંડ.

સંસારમાં હોવાના કારણે જરૂર પૂરતાં જે કર્મો કરવાં પડે એને કહેવાય અર્થદંડ અને જરૂર વગરનાં જે કર્મો બાંધીએ એને કહેવાય અનર્થદંડ!

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આપણને અનર્થદંડના પાપથી બચવાની પ્રેરણા આપે છે.

પરિસ્થિતિના કારણે કદાચ તમારાથી ગુસ્સો થઈ જાય તો એ અર્થદંડ કહેવાય; પણ પછી એ ગુસ્સાને તમે કલાકો, દિવસો કે મહિનાઓ સુધી મનમાં વાગોળ્યા કરો તો એ અનર્થદંડ કહેવાય .

આહાર, પાણી, વસ્ત્રો, ઘર આદિ જીવનની જરૂરિયાત છે. એના માટે જે કર્મ બંધાય એ અર્થદંડ કહેવાય; પણ જે જરૂરી નથી એવી વસ્તુઓની ઇચ્છા કરવી, મૉલના શોરૂમમાં જોઈને એ વસ્તુ પ્રત્યે ગમો કરવો, આ કેવો ‘મસ્ત’ ડ્રેસ છે કહીને પ્રેઝ કરવું એ અનર્થદંડ છે. જે તમે પર્ચેઝ નથી કરતાં, માત્ર પ્રેઝ કરો છો એની પણ તમારે કર્મો દ્વારા પ્રાઇસ ચૂકવવી પડે છે.

પાપ કરો એ તો ભોગવવું પડે, પણ મનથી કરેલી ઇચ્છાનાં પાપ પણ ભોગવવાં પડે.

મનથી કરેલા દોષો પણ વ્યક્તિને દોષિત બનાવે છે.

એક કહેવત છે, જે ગામ જવું નહીં એનું નામ લેવું નહીં. એમ જે વસ્તુ લેવી નહીં, એને મનથી ગમાડવી નહીં!

પોતાની સેલ્ફ માટે જરૂરી પાપ કરવાં પડે, કેમ કે એમાં કોઈ ઑપ્શન નથી; પણ ઘણાની આદત હોય કે બીજાની લાઇફમાં ઇન્ટરફિયર કરીને એક્સ્ટ્રા પાપ બાંધે.

જેટલી એક્સ્ટ્રા વાતો, જેટલી એક્સ્ટ્રા આર્ગ્યુમેન્ટ્સ, જેટલું એક્સ્ટ્રા ઇન્ટરફિયરન્સ એટલાં એક્સ્ટ્રા પાપ બંધાય.

જેટલાં એક્સ્ટ્રા પાપ એટલો કર્મોનો ભાર વધારે!

કેટલાકનો સ્વભાવ હોય કે જ્યાં સુધી પોતાની વસ્તુ બધાને શો ન કરે ત્યાં સુધી ચેન ન પડે. માનો કે તેણે સૅલડ ડેકોરેટ કર્યું છે તો એનો ફોટો ક્લિક કરીને વૉટ્સઍપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરશે.

એક તો વનસ્પતિકાયના જીવોની હિંસા, એમને આપેલું દુ:ખ. એ દુ:ખ જ્યારે અનેક વ્યક્તિઓ સાથે શૅર કરો છો ત્યારે તમારું દુ:ખ તો અનેકગણું વધી જાય છે અને સાથે-સાથે સમૂહમાં બંધાતાં કર્મોનું સામુદાનિક પાપ લાગે છે, જે સમૂહમાં ભોગવવું પડે છે. આ છે અનર્થદંડ!

ઘણાની મેન્ટાલિટી હોય કે હોટેલમાં જમવા જવું હોય કે સમર વેકેશનમાં હિલ-સ્ટેશન જવું હોય તો પાંચ-સાત ફ્રેન્ડ્સને ફોન કરી, આગ્રહ કરીને સાથે લઈ જશે.

કોઈ કારણસર હોટેલમાં જવું પડે એ અર્થદંડ કહેવાય, પણ ‘ચાલોને હોટેલમાં જમવા જઈએ’ એ અનર્થદંડ કહેવાય.

અર્થદંડનું પાપ કરવું પડે, પણ અનર્થદંડનું પાપ જેને સંપૂર્ણ વ્યર્થ લાગે તે પ્રભુનો ભક્ત કહેવાય!

કરવું ‘પડે’ એવા પાપને અર્થદંડ કહેવાય અને કરવું ‘ગમે’ એવા પાપને અનર્થદંડ કહેવાય.

શુભ કર્તવ્ય, જેમ કે સેવા, જીવદયા, માનવતા, કોઈની કૅર કરવી, કોઈનું ઇન્સલ્ટ ન કરવું, કોઈને હર્ટ ન કરવું, એ ગમવું જોઈએ. બીજા પર ગુસ્સો કરવો પણ ન જોઈએ અને કરીને ગમવો પણ ન જોઈએ. દોષો સેવવા પણ ન જોઈએ અને સેવ્યા પછી ગમવા પણ ન જોઈએ.

ચેક કરો તમારી સેલ્ફને! આજ સુધી કયાં-કયાં અને ક્યારે-ક્યારે અનર્થ દંડનાં પાપ થયાં છે?

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પાપ-દોષો અને ભૂલોનો એકરાર કરવા માટે હોય છે. એક-એક ક્ષતિઓને ક્લીન કરવા માટે હોય છે અને એ ક્ષતિઓ રિપીટ ન થાય એ માટે પ્રભુ સાથે કરાર કરવા માટે હોય છે.

હૃદયના સાચા ભાવથી પ્રભુને કહી દો...

હે પ્રભુ ! સેલ્ફ પર કન્ટ્રોલ ન હોવાના કારણે જ્યાં-જ્યાં મેં જરૂરથી વધારે ઝંખના કરી હોય, જરૂરથી વધારે શોખ કર્યા હોય, પરિગ્રહનું પરિમાણ ન કર્યું હોય અને અનર્થદંડનાં પાપ વધાર્યાં હોય તે સર્વનું तस्स भंते, पडिक्कामि, निंदामि, गरिहामि અને अप्पाणं वोसिरामि કરું છું અને પ્રભુ, આપને વચન આપું છું કે મારા આત્માને અનર્થદંડના પાપથી બચાવવાનો પુરુષાર્થ કરીશ, પળ-પળ સાવધાન રહીશ અને દરેક વખતે મારા મનને પ્રશ્ન કરીશ... ‘આ કરવું જરૂરી છે કે આ કરવું મને ગમે છે?’

જેટલી નેસેસિટી છે એ અર્થદંડ અને જેટલી ફૅસિલિટી છે એ અનર્થદંડ છે.

આજથી લાઇફમાં એક ગુણધર્મ પ્રગટાવી દો, ‘મારે જરૂરથી વધારે કંઈ જોઈતું નથી, જરૂરથી વધારે કંઈ મેળવવું નથી, જરૂરથી વધારે કંઈ માગવું નથી, જરૂરથી વધારેની ઇચ્છા કરવી નથી અને જરૂરથી વધારે કંઈ રાખવું નથી.’

ઘણી વ્યક્તિઓને આદત હોય કે ઍનિમલના શેપની કેક બનાવે અને પછી એને કટ કરે.

ભગવાને કહ્યું છે...

જીવને કાપવાનું જેટલું પાપ લાગે એટલું જ પાપ જડને કાપવાનું લાગે.

ગાયને કાપવાનું જેટલું પાપ લાગે એટલું જ પાપ એક પેપરને ફાડવાનું લાગે.

બાળકને રમકડાંની ગન આપો અને રમતમાં જ એની રમકડાની બાર્બી ડોલ કે મિકી માઉસનું મર્ડર કરે છે તો પણ તેને સાચી ગનથી એક વ્યક્તિના કરેલા મર્ડર જેટલું પાપ લાગે છે, કેમ કે એ ભાવથી કરે છે.

આ બધાં અનર્થ દંડનાં પાપ કહેવાય છે.

જેટલાં મનથી, ભાવથી પાપ કરીએ એટલાં તનથી ભોગવવાં પડે.

કેટલીક વ્યક્તિઓ પોતાનો ટાઇમ મોબાઇલમાં ગૉસિપ કરવામાં કે મોબાઇલમાં ગેમ્સ રમવામાં પાસ કરતી હોય છે.

ટાઇમ પાસ કરવો એ પણ અનર્થદંડ છે.

જે મળેલા બેસ્ટ ટાઇમનો ટાઇમ પાસ કરે છે તેમને ટાઇમ જ ટાઇમ મળે એવો ભવ મળે છે.

અનર્થદંડના પાપથી આત્માને બચાવવા શું કરવું જોઈએ?

અનર્થદંડના પાપથી આત્માને બચાવવા પળ-પળ જાગૃત રહેવું જોઈએ. પળ-પળ ચેક કરવું જોઈએ કે આ જરૂરી છે કે નહીં? આ નેસેસિટી છે કે ફૅસિલિટી છે?

સામુદાનિક અનર્થદંડના પાપનો ક્ષય કરવા સમૂહમાં સેવા, ભક્તિ, સાધના, આલોચના અને પ્રતિક્રમણ કરવાં જોઈએ.

જે પોતાનો સમય સેવા, ભક્તિ, સહાય અને સાધનામાં યુઝ કરે છે તે પોતાના સમયને ઇન્વેસ્ટ કરે છે.

જે પોતાનો સમય રમવામાં, વાતચીત કરવામાં, ગૉસિપ કરવામાં યુઝ કરે છે તે પોતાના સમયને વેસ્ટ કરે છે.

જે સમયનો સદુપયોગ કરે છે તે શુભ કર્મોનું સર્જન કરે છે.

જે સમચનો દુરુપયોગ કરે છે તે અનર્થદંડનું સર્જન કરે છે.

જેના જીવનમાં સેવા, ભક્તિ, સાધના અને સહાય હોય છે તે હંમેશાં અનર્થદંડના પાપથી બચી જાય છે અને સેલ્ફને એક પ્રકારનું સૅટિસ્ફૅક્શન મળે છે.

આત્માને અનર્થદંડના પાપથી બચાવવાની વાત લાગે બહુ સામાન્ય, પણ જો લાઇફમાં ઍપ્લાય થઈ ગઈ અને લાઇફમાં ચેન્જિસ આવી ગયા તો લાઇફને અસામાન્ય બનતાં વાર નહીં લાગે.

અનર્થદંડના પાપથી આત્માને સુરક્ષિત રાખવો એ જ પર્યુષણની સાર્થકતા છે.

life and style lifestyle news jain community paryushan gujaratis of mumbai exclusive