22 May, 2026 10:07 AM IST | Rudraprayag | Gujarati Mid-day Correspondent
આશુતોષ રાણા બાબા કેદારનાથના ધામમાં
આશુતોષ રાણા હાલમાં ઉત્તરાખંડની ચારધામ યાત્રા પર છે. આ યાત્રા દરમ્યાન આશુતોષે બાબા કેદારનાથ અને ભગવાન બદ્રી વિશાલનાં દર્શન કર્યાં.
દર્શન કર્યા પછી આશુતોષ રાણાએ કહ્યું, ‘લાખો શ્રદ્ધાળુઓની ભીડ હોવા છતાં પ્રશાસન જે કુશળતાપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે યાત્રાનું સંચાલન કરી રહ્યું છે એ પ્રશંસનીય છે. મને એક જ દિવસમાં બાબા કેદારનાથ અને ભગવાન બદ્રીનાથનાં દર્શન કરવાનો અવસર મળ્યો અને અહીંની વ્યવસ્થા જોઈને મને અત્યંત પ્રસન્નતા થઈ.’
આશુતોષ રાણાએ સ્થાનિક પોલીસ, રાજ્ય પ્રશાસન, સેના અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફૉર્સ (CISF)ના જવાનોની કાર્યશૈલીની વિશેષ પ્રશંસા કરીને કહ્યું કે ‘સુરક્ષાકર્મીઓ શ્રદ્ધાળુઓ માટે સહયોગીની ભૂમિકા ભજવી રહ્યા છે અને યાત્રીઓની મુશ્કેલીઓને શાંતિ અને કુશળતાથી દૂર કરી રહ્યા છે. ચારધામ યાત્રા ફક્ત પર્યટન નથી, કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને અહીં સુરક્ષિત, સરળ અને સન્માનજનક વાતાવરણ મળી રહ્યું છે. શ્રદ્ધાળુઓને મળી રહેલો સહયોગ, સ્નેહ અને સુવિધા ઉત્તરાખંડની ‘અતિથિ દેવો ભવઃ’ની પરંપરાને દર્શાવે છે.’