16 September, 2026 09:37 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી T20 મૅચ દરમિયાન ભારતનો યુવા બૅટર વૈભવ સૂર્યવંશીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં વૈભવ ખેલાડીઓને પાણી પીવડાવતો જોવા મળે છે. ભારતીય ક્રિકેટ ફૅન્સ આ બાબતથી નારાજ છે. ચાહકો `બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા` (BCCI) ને સવાલ કરી રહ્યા છે કે વૈભવને પ્લેઇંગ XI (મુખ્ય ટીમ) માં રમવાની તક કેમ આપવામાં આવતી નથી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની T20 સિરીઝની મૅચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વૈભવનો હજી સુધી ભારતીય ટીમની પ્લેઇંગ XIમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. તે પોતાની ધરતી પર ભારતીય ટીમની બ્લુ જર્સીમાં ડૅબ્યૂ કરવાની રાહ જોઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ચાહકો વૈભવને પાણી પીવડાવતો જોઈને BCCIની ટીકા કરી રહ્યા છે. ઘણા યુઝર્સનું માનવું છે કે વૈભવને માત્ર પાણી પીવડાવવાની જવાબદારી સોંપવાને બદલે મેદાન પર રમવાની તક મળવી જોઈએ. આ વીડિયો શૅર કરતા એક યુઝરે લખ્યું, "સૂર્યવંશી આજે પણ પાણી પીવડાવશે. BCCIને બિહારી મજૂરો જોઈએ છે, ખેલાડીઓ નહીં..." અન્ય એક યુઝરે લખ્યું, "BCCI અને તેના સાથીદારો વૈભવ સૂર્યવંશી સાથે બિલકુલ એવો જ વ્યવહાર કરી રહ્યા છે જેવો અન્ય રાજ્યો અને કેન્દ્ર સરકાર બિહાર સાથે કરે છે." જોકે, આ પોસ્ટ્સ અંગે ચાહકો તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. વૈભવ અંગે BCCI દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો સામે આવ્યો છે. તેમાં વૈભવ સૂર્યવંશી બાઉન્ડ્રી લાઇન પાસે નીતિશ કુમાર રેડ્ડીને પાણીની બૉટલ આપતો જોવા મળે છે. વીડિયોમાં વૈભવ પહેલા બૉટલ ખોલે છે અને પછી નીતિશને પાણી આપે છે. આ વીડિયોમાં વૈભવના વર્તનની પણ પ્રશંસા કરવામાં આવી રહી છે. વીડિયો શૅર કરતા એક યુઝરે લખ્યું, "જુઓ વૈભવ સૂર્યવંશી કેટલી નમ્રતાથી નીતિશ રેડ્ડીને પીણાં આપી રહ્યો છે. બ્રેકિંગ: ભલે તે પહેલી બે મૅચમાં પીણાં પીવડાવતો હોય, પરંતુ તે ત્રીજી T20માં રમી શકે છે કારણ કે ભારત પહેલેથી જ સિરીઝ જીતી ચૂક્યું છે."
ભારતે અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ત્રીજી T20 મૅચ ગુરુવાર, 17 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનાર છે. સીરીઝ પહેલેથી જ જીતી લીધી હોવાથી, ભારતીય ટીમ ત્રીજી મૅચ માટે કેટલાક ફેરફારો કરી શકે છે. પરિણામે, એવી અટકળો છે કે વૈભવ સૂર્યવંશીનો પ્લેઈંગ XIમાં સમાવેશ થઈ શકે છે. ભારત હવે અફઘાનિસ્તાન સામેની સીરીઝમાં `ક્લીન સ્વીપ`નું લક્ષ્ય રાખશે.