08 April, 2026 12:01 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
સામાન્ય રીતે તળેટીથી ચાલીને ૮૦૦ પગથિયાં ચડીને મંદિર સુધી જવામાં આવે તો દોઢ કલાક જેટલો સમય લાગે છે, પરંતુ ટ્રૅક્ટર માત્ર ૪૦થી ૪૫ મિનિટમાં ચડી ગયું હતું.
રાજસ્થાનમાં એક મંદિર સુધી પહોંચતાં ૮૦૦ પગથિયાં પર એક ટ્રૅક્ટરને રિવર્સમાં ચડાવવામાં આવ્યું હતું. આ કોઈ સ્ટન્ટ નહોતો પરંતુ ઑટોમોબાઇલ કંપનીએ કરેલી ટેસ્ટ હતી. જાલોરમાં સિરે મંદિર સુધી પહેલી વાર એક ટ્રૅક્ટરથી સામાન પહોંચાડવામાં આવ્યો હતો. એમાં બૅલૅન્સ જળવાઈ રહે અને સેફ્ટી સારી રહે એ માટે ટ્રૅક્ટરને રિવર્સ ગિયરમાં ઉપર લઈ જવાયું હતું. એક જ દિવસમાં બે વાર આ ટેસ્ટ કરવામાં આવી હતી. પહેલી ટેસ્ટ ચોથી એપ્રિલે બપારે ૧૨ વાગ્યે કરી હતી. એમાં ખાલી ટ્રૅક્ટરને પગથિયાં પર રિવર્સ ગિયરમાં ચડાવીને હનુમાન મંદિર થઈને ઉપર સુધી એટલે કે ૮૦૦ પગથિયાં પાર કરીને લઈ જવાયું હતું. ખાલી ટ્રૅક્ટર સફળતાપૂર્વક ગયું એટલે એ જ દિવસે સાંજે ૧૮૦૦ કિલો સામાન એમાં લાદીને ફરીથી એ જ પદ્ધતિથી ટ્રૅક્ટર ચડાવવામાં આવ્યું હતું. આ પ્રયોગ પણ સફળ રહ્યો હતો. ડ્રાઇવર ગુલાબ ચંદ માલીનું કહેવું છે કે ટ્રૅક્ટરના આગળનાં ટાયર નાનાં હોય છે એટલે જો સીધું ચડાણ કરવામાં આવે તો એનાથી ટાયર હવામાં ઉપર ઊઠી જાત. સામાન્ય રીતે તળેટીથી ચાલીને ૮૦૦ પગથિયાં ચડીને મંદિર સુધી જવામાં આવે તો દોઢ કલાક જેટલો સમય લાગે છે, પરંતુ ટ્રૅક્ટર માત્ર ૪૦થી ૪૫ મિનિટમાં ચડી ગયું હતું.