25 May, 2026 03:31 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ફરી પેપરના દાવાઓએ વિદ્યાર્થીઓનું ટેન્શન વધાર્યું
NEET પરીક્ષા 2026 ના પેપર લીક થયાના વિવાદ બાદ નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ફરી પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે રી-નીટ 2026 (Re-NEET 2026) પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પર સમાન જોખમ આવે તેવી શક્યતા છે. કારણ કે પેપર લીકના વિવાદ બાદ ફરી પરીક્ષામાં પણ ગેરરીત થઈ રહી હોવાના આરોપ છે અને આ વખતે તેની સામે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવી છે. શુભમ ઠાકરે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને માહિતી આપી હતી અને આ કૌભાંડ રોકવા માટે તેમણે શું પગલાં લીધા તે જણાવી NTA સામે પણ બેદરકારીનો આરોપો કર્યો.
શુભમ ઠાકરે 2023-24 માં નીટ પરીક્ષા આપી ચૂક્યા છે. તેમના જુનિયર્સે તેમને ‘ટૅલિગ્રામ’ના કેટલાક ચૅનલો પર રી-નીટ પરીક્ષા 2026 ના પેપર પણ આગાઉની જેમ જ વિદ્યાર્થીઓ અને વાલીઓને વેચવામાં આવી રહ્યા અને કેટલાકની તો છેતરપિંડી પર કરવામાં આવી છે, તેની જાણ કરી. શુભમે કહ્યું શરૂઆતમાં તેમને લાગ્યું કે આ મજાક હશે, જોકે પછીથી તેઓ આ ટૅલિગ્રામ ગ્રુપ્સમાં જોડાયા અને જે જોયું તેનાથી તેઓ પણ ચોંકી ગયા. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં શુભમે કહ્યું કે તેમણે પૂરતી માહિતી એકત્રિત કર્યા પછી, સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી.
સત્તાવાર ફરિયાદ મુજબ, વિદ્યાર્થીઓનો સંપર્ક જુદા જુદા રી-નીટ પરીક્ષા લીક ટૅલિગ્રામ ચૅનલો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ જૂથોમાં, એવો દાવો કરવામાં આવે છે કે Re-NEET 2026 પ્રશ્નપત્ર લીક થઈ ગયું છે અને તેને મેળવવા માટે રૂ. 10 લાખની માગણી કરવામાં આવી રહી છે. શુભમના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ પાસેથી શરૂઆતમાં રૂ. 200 થી રૂ. 500 સુધીની ફી લેવામાં આવે છે, ત્યારબાદ તેઓ મુખ્ય ગ્રુપમાં જોડાય છે. પછી ગ્રુપ ઑપરેટર્સ દ્વારા વધુ સૂચનાઓ અને વિગતો આપવામાં આવે છે. એવો આરોપ છે કે પેપર મેળવવા માટે, રૂ. 60,000 ની ‘ટોકન રકમ’ની આગાઉથી માગણી કારવામાં આવે છે અને બાકીની 10 લાખ રૂપિયાની રકમ પછીના લેવામાં આવે છે.
ફરિયાદી શુભમના મતે તેમણે ‘રાઘવ સર’ નામના મુખ્ય આરોપી સાથે ફોનપર વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે “આરોપીએ કહ્યું હતું કે પ્રશ્નપત્ર પરીક્ષાના દિવસે 21 જૂને સવારે 2:00 વાગ્યે મળી જશે. અત્યાર સુધી લગભગ 5.74 કરોડ રૂપિયાના પેપર વેચાઈ ગયા છે અને કોઈપણ પ્રશ્ન ન આવે તો આખી રકમ પરત કરવામાં આવશે, તેમના આ નેટવર્કમાં એક ધારાસભ્યનો પણ સપોર્ટ છે.” શુભમ ઠાકરે આરોપ લગાવ્યો છે કે, આ ગઠિયાઓ પાસેથી, અંદાજે 7,901 લોકોએ પેપર્સ ખરીદ્યા છે. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે આ મામલો ફક્ત સાયબર છેતરપિંડી પૂરતો મર્યાદિત નહીં હોય પરંતુ પેપર લીક નેટવર્ક સાથે જોડાયેલો હોઈ શકે છે.
શુભમે આરોપ લગાવ્યો કે જ્યારે તેમણે ચુકવણી માટે રાઘવ સર પાસે તેમના બૅન્ક ખાતાની વિગતો માગી, ત્યારે તેમને મહારાષ્ટ્રમાં સ્થિત એક બૅન્ક ખાતા સંબંધિત માહિતી આપી. આ બૅન્ક એકાઉન્ટ ધારકની ઓળખ રાહુલ કલ્યાણ તરીકે થઈ હતી. શુભમે એવો પણ આરોપ કર્યો કે તેમણે સાયબર સેલ સાથે NTA માં પણ આ મામલે ઈ-મેલ મોકલી ફરિયાદ કરી હતી પણ તેમને કોઈ જવાબ મળ્યો નહીં. તેમની એક જ માગણી છે કે જે સરકારે પરીક્ષા ન થાય ત્યાં સુધી કડક રીતે ટેલિગ્રામ પર પ્રતિબંધ લગાડવો જોઈએ અને જે પણ લોકો અને વિદ્યાર્થીઓ પેપર ખરીદીમાં સંડોવાઈ ગયા છે તેમણે બીજાનું ભવિષ્ય ન બગાડવું જોઈએ અને એક જવાબદાર નાગરિક બની આવું ક્યાં થતું હોય તો તેની ફરિયાદ કરવી જોઈએ.