૪૬ વર્ષ બાદ જગન્નાથ પુરી મંદિરના રત્નભંડારના દરવાજા ખૂલ્યા

15 July, 2024 07:16 AM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

રત્નભંડાર ખોલતાં પહેલાં સ્પેશ્યલ બૉક્સને મંદિરમાં લાવવામાં આવ્યાં હતાં

રત્નભંડારના દરવાજા ખૂલ્યા એ પ્રસંગે ગઈ કાલે મંદિરમાં બ્રાસનાં સ્પેશ્યલ બૉક્સ લઈ જવામાં આવ્યાં હતાં.

આશરે ૪૬ વર્ષ સુધી બંધ રહ્યા બાદ ગઈ કાલે બપોરે ૧.૨૮ વાગ્યાના શુભ મુહૂર્તે પુરીમાં આવેલા ૧૨મી સદીના જગન્નાથ મંદિરના રત્નભંડાર ખોલવામાં આવ્યા હતા. ઓડિશા સરકારે લીલી ઝંડી આપ્યા બાદ આ રત્નભંડારમાં રહેલી કીમતી ચીજવસ્તુઓની યાદી બનાવવા માટે એને ખોલવામાં આવ્યા છે.

રત્નભંડાર ખોલતાં પહેલાં સ્પેશ્યલ બૉક્સને મંદિરમાં લાવવામાં આવ્યાં હતાં અને એમાં કીમતી વસ્તુઓ રાખીને સ્ટ્રૉન્ગ રૂમમાં મૂકવામાં આવશે. આ પ્રસંગે ૧૧ લોકોની એક ટીમ મંદિરમાં પ્રવેશી હતી જેમાં ઓડિશા હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજ વિશ્વનાથ રથ, શ્રી જગન્નાથ ટેમ્પલ ઍડ્મિનિસ્ટ્રેશનના ચીફ ઍડ્મિનિસ્ટ્રેટર અરબિંદા પાધી, આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના સુપરિન્ટેન્ડન્ટ ડી. બી. ગડનાયક અને પુરીના રાજા ગજપતિ મહારાજાના પ્રતિનિધિનો સમાવેશ થતો હતો. આ કામ પારદર્શક રીતે પાર પડે એ માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના પ્રતિનિધિઓની મદદ લેવામાં આવશે.

ઓડિશા હાઈ કોર્ટની ઉચ્ચ સ્તરીય કમિટીએ રત્નભંડાર ખોલવાની પરવાનગી આપી હતી. આ માટે કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા હતા. જોકે રત્નભંડારમાં રહેલી ચીજવસ્તુઓની ગણતરીનું કામ એકદમ શરૂ કરવામાં નહીં આવે, આ માટે સરકાર પાસેથી વૅલ્યુઅર્સ અને સોનીની નિમણૂક કરવાની પરવાનગી મેળવવામાં આવશે.

આ મુદ્દે ઓડિશાના કાયદાપ્રધાન પૃથ્વીરાજ હરિચંદને કહ્યું હતું કે ‘જગન્નાથ મંદિરમાં આસ્થા રાખનારા વિશ્વભરમાં ફેલાયેલા જગન્નાથ ફૉલોઅર્સની વર્ષો જૂની માગણીનો અંત આવ્યો છે. રત્નભંડાર ખૂલશે અને એમાં કેટલાં ઘરેણાં છે, એનો આકાર અને વજન કેટલું છે અને એ કેવા પ્રકારના છે એની જાણકારી હવે મળી શકશે. ઘરેણાંની ડિજિટલ ફોટોગ્રાફી કરવામાં આવશે.

odisha jagannath puri religious places culture news national news india