15 June, 2023 08:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રામદાસ આઠવલે
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે તેમણે મહારાષ્ટ્રમાં આગામી કેબિનેટ વિસ્તરણમાં તેમની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-આઠવલે (RPI-A) માટે મંત્રી પદની માંગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે આઠવલેએ બુધવારે રાત્રે મુંબઈની બહાર વસઈમાં RPI (A)ના કાર્યકરો અને પદાધિકારીઓને સંબોધિત કરતી વખતે આ માહિતી આપી રજૂ કરી હતી. આ સાથે જ 63 વર્ષીય દલિત નેતાએ જણાવ્યું હતું કે તેઓ યોગ્ય મંચ પર મંત્રીપદની માંગણી પહેલા પણ કરી ચૂક્યા છે.
આઠવલેએ જણાવ્યું હતું કે, આરપીઆઈ(એ)ને આવતા વર્ષે મહારાષ્ટ્રમાં ઓછામાં ઓછી બે થી ત્રણ લોકસભા બેઠકો અને 10 થી 15 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવા માટે ટિકિટ મળે તે સુનિશ્ચિત કરવાનો તેઓ પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 અને વિધાનસભાની 288 બેઠકો છે. આઠવલેએ જણાવ્યું હતું કે આરપીઆઈ(એ) મહારાષ્ટ્રમાં નગરપાલિકા સંસ્થાઓ અને જિલ્લા પરિષદોની આગામી ચૂંટણીઓ ભાજપ ( Bharatiya Janata Party)અને મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)ના નેતૃત્વમાં શિવસેના સાથે ગઠબંધનમાં લડશે.
વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વસઈમાં આરપીઆઈ આઠવલે જૂથની બેઠક સંપન્ન થઈ ગઈ છે. વાયએમસી હોલ, વસઈ માણિકપુર ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્ય મંત્રી રામદાસ આઠવલેની હાજરીમાં આરપીઆઈ આઠવલે જૂથના જિલ્લા અધ્યક્ષ ઈશ્વર ધુળેની આગેવાની હેઠળ બેઠક પણ યોજવામાં આવી હતી. આ સાથે રામદાસ આઠવલેએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે આગામી વસઈ વિરાર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની મદદથી અમારા ઉમેદવારોને ઉભા રાખીશું.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક તરફ જ્યાં મહાવિકાસ અઘાડીના નેતાઓ કમર કસી રહ્યા છે. ત્યાં બીજી તરફ ભાજપ અને શિંદે જૂથે પણ દાવાઓ કરવાનું શરૂ કરી દીધું છે. આઠવલેની આ જાહેરાત પર ભાજપ અને શિંદે જૂથની શું પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું.
આમ પણ અગાઉથી જ મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાની જાહેરાતથી ભાજપમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ટીકા બાદ શિંદે જુથની શિવસેનાએ ડેમેજ કંટ્રોલ શરૂ કરી દીધું છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમની પાર્ટી બુધવારે અગાઉની ભૂલને સુધારવા માટે બીજી સંપૂર્ણ પાનાની જાહેરાત બહાર પાડીને નુકસાન-નિયંત્રણમાં વ્યસ્ત છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નારાજ હોવાનો મામલો પણ સામે આવી રહ્યો હતો. એવા પણ અહેવાલ સામે આવ્યા હતા કે ફડણવીસ સતત બીજા દિવસે શિંદે સાથે જાહેરમાં હાજરી આપવાથી દૂર રહ્યા હતા.
આ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કોલ્હાપુરમાં તેમના નિર્ધારિત કાર્યક્રમને મોકૂફ રાખ્યો હતો. તેમણે બુધવારે કાર્યક્રમમાં જવાનું ટાળ્યું હતું. જ્યાં તેઓ સીએમ શિંદે સાથે એક જ મંચ પર હાજર થવાના હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દેવેન્દ્ર ફડણવીસે કેટલીક તબીબી સ્થિતિને કારણે આગામી કેટલાક દિવસો માટે મુંબઈની બહારની તમામ એપોઇન્ટમેન્ટ રદ કરી દીધી હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.