11 December, 2025 08:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાહુલ નાર્વેકર
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘મુંબઈ-પુણે અને સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) પાસેથી ટોલ વસૂલવામાં આવે છે એ ગેરકાયદે છે.’
તેમણે સરકારને આઠ દિવસમાં વસૂલેલા પૈસા પાછા આપવાનો નિર્દેશ આપ્યો હતો.
મિનિસ્ટર દાદા ભુસેએ પણ સ્વીકાર્યું હતું કે નવી EV નીતિ પ્રમાણે ટોલમાફી અમલમાં હોવા છતાં કેટલાંક ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પાસેથી ટોલ કાપવામાં આવ્યો હતો. મિનિસ્ટરે જણાવ્યું હતું કે ‘ટોલમાફી માટે વાહનની ફાસ્ટૅગ વિગતો ટ્રાન્સપોર્ટ પોર્ટલમાં નોંધાયેલી હોવી જોઈએ. નવી નીતિના અમલીકરણને ત્રણ મહિના થઈ ગયા છે, પણ એવા કેટલાક કિસ્સાઓ બન્યા છે જેમાં ઇલેક્ટ્રિક વાહનોનો ટોલ કાપવામાં આવ્યો હતો. જોકે અમે એ પૈસા પાછા પહોંચાડવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’
મિનિસ્ટરના આ જવાબ પછી સ્પીકર રાહુલ નાર્વેકરે વસૂલેલા પૈસા પરત કરવા જણાવ્યું હતું.