14 March, 2026 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોમવારે આનંદનગર MIDCમાં આવેલી એક કંપનીમાં લાગેલી આગ
અંબરનાથ વિસ્તારમાં આવેલી ફૅક્ટરીઓને ૮ દિવસની અંદર ફાયર અને સેફ્ટી ઑડિટ રિપોર્ટ સબમિટ કરવા કહેવામાં આવ્યું છે. સોમવારે આનંદનગર મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)માં આવેલી ગણેશ કેમિકલ કંપનીમાં લાગેલી ભીષણ આગ બાદ ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે આ નિર્દેશ આપ્યો હતો.
ઉદય સામંતે નિરીક્ષણ દરમ્યાન અધિકારીઓને જણાવ્યું હતું કે ‘અધિકારીઓ પાસે તેમના અધિકારક્ષેત્રમાં કાર્યરત કંપનીઓ વિશે, ખાસ કરીને એમની સલામતી અને આગ નિવારણનાં પગલાં અંગે વ્યાપક માહિતી હોવી જોઈએ. આ માહિતી જનપ્રતિનિધિઓને ઉપલબ્ધ કરાવવી જોઈએ. જો કોઈ કંપનીએ વીમાનો દાવો કરવા માટે જાણીજોઈને આગ લગાવી હોવાનું જાણવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઔદ્યોગિક વસાહતોને અડીને આવેલી માનવવસાહતોનું રક્ષણ કરવું અમારી પ્રાથમિક જવાબદારી છે. અમે નાગરિકોની સલામતી સાથે સમાધાન કરી શકીએ નહીં.’
MIDCના સ્ટાફને કહેવામાં આવ્યું છે કે તેઓ ખાતરી કરે કે તેમના વિસ્તારની ફૅક્ટરીઓ એક અઠવાડિયાની અંદર ફાયર અને સેફ્ટી ઑડિટ રિપોર્ટ સબમિટ કરે.