18 September, 2026 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય સુનીલ પ્રભુની કાર વડે અકસ્માત થયાનો આરોપ
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય સુનીલ પ્રભુની કારે એક રસ્તા પર ચાલતી વ્યક્તિને ટક્કર મારી હોવાની ઘટના બની છે. વિલે પાર્લે પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ દુર્ઘટનામાં સુનીલ ધુલવિયા નામના વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ હોવાના અહેવાલ છે. ઘટના સમયે સુનીલ પ્રભુ કારની અંદર હતા અને તેમનો ડ્રાઈવર વાહન ચલાવી રહ્યો હતો.
અહેવાલો અનુસાર, સુનીલ પ્રભુની કાર મુંબઈ ઍરપોર્ટથી કાંદિવલી જઈ રહી હતી ત્યારે નજીકમાં ચાલી રહેલા સુનીલ ધુલવિયાને તેણે ટક્કર મારી હતી. તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ સુનીલ પ્રભુએ પોલીસના ઈમરજન્સી નંબર (100) પર ફોન કર્યો અને ઘાયલ વ્યક્તિને હૉસ્પિટલ લઈ જવાની વિનંતી કરી. પોલીસે આ ઘટના અંગે વિગતો ભેગી કરવાનું શરૂ કર્યું છે. ઘાયલ સુનીલ ધુલવિયાનું નિવેદન નોંધવામાં આવશે અને તેમના કથન પરથી કેસ નોંધાય તેવી શક્યતા છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ગુરુવારે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઈવે પર ચારોટી નજીક એક અલગ માર્ગ અકસ્માત સર્જાયો હતો. બપોરે લગભગ 2:30 વાગ્યે, કૅમિકલથી ભરેલું એક ટૅન્કર ચારોટી ફ્લાયઓવર પર આવેલા વળાંક પર પલટી ગયું હતું. આ ટૅન્કર ગુજરાતથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું. અકસ્માતમાં ડ્રાઈવર ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે તાત્કાલિક કાસા સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ચારોટી ફ્લાયઓવર પરના તીવ્ર વળાંક પર ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટૅન્કર પલટી ગયું હતું. ટૅન્કરમાંથી મોટી માત્રામાં કૅમિકલ લીક થયું હતું અને તેની તીવ્ર ગંધને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. અહેવાલો અનુસાર, ટૅન્કરમાં ભરેલું કૅમિકલ પેઇન્ટના ઉત્પાદન અને અન્ય ઔદ્યોગિક હેતુઓ માટે વપરાય છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. રસ્તા પરથી ટૅન્કર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી.
મુંબઈ-નાશિક હાઇવે પર થાણે જિલ્લાના આટગાવ નજીક બુધવારે બપોરે એક પૂરપાટ જતી કાર રસ્તા પર ઊભેલી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ૪ સભ્યોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુ પામનાર લોકોમાં એક વર્ષ અને ૮ વર્ષનાં એમ બે બાળકોનો પણ સમાવેશ થાય છે. મુંબઈના જોગેશ્વરી વિસ્તારનો આ પરિવાર નાશિક જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરથી દર્શન કરીને કારમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. પોલીસ-અધિકારીના જણાવ્યા મુજબ હાઇવે પર છેલ્લાં બે વર્ષથી એક બળેલી અને બિનવારસી હાલતમાં પડેલી ટ્રક ઊભી હતી. પૂરપાટ ઝડપે આવી રહેલી કાર સીધી આ ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી જેના પગલે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.