૩ મિનિટનું અંતર કાપવામાં ઍમ્બ્યુલન્સે ૪૦ મિનિટ લગાડી, સારવારના અભાવે વૃદ્ધનું મોત

25 April, 2026 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરિવારજનોએ આરોગ્ય વિભાગ પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

કલ્યાણ-વેસ્ટમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. દીપક હોટેલ પાસે રહેતા એક વૃદ્ધને છાતીમાં દુખાવો ઊપડ્યા બાદ ઍમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ઍમ્બ્યુલન્સ માત્ર ૩ મિનિટના અંતરે હોવા છતાં એને પહોંચતાં ૪૦ મિનિટ લાગી હતી. આ વિલંબને કારણે વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો.

આમ્બિવલીમાં રહેતા ૭૦ વર્ષના મેવાલાલ ગુપ્તાને અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. પરિસ્થિતિ ગંભીર જણાતાં પરિવારજનોએ તાત્કાલિક ઍમ્બ્યુલન્સ બોલાવી હતી. જોકે એ વખતે ઍમ્બ્યુલન્સ રુક્મિણીબાઈ હૉસ્પિટલમાં હતી જે ઘટનાસ્થળેથી માંડ ૩ મિનિટના અંતરે છે. જોકે આટલું ટૂંકું અંતર હોવા છતાં ઍમ્બ્યુલન્સને મેવાલાલના ઘર સુધી પહોંચવામાં ૪૦ મિનિટ લાગી હતી. જ્યારે ઍમ્બ્યુલન્સ પહોંચી ત્યાં સુધીમાં મેવાલાલનું મૃત્યુ થયું હતું.

તેમના પરિવારજનોએ આરોગ્ય વિભાગ પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે જો ઍમ્બ્યુલન્સ સમયસર પહોંચી હોત તો કદાચ મેવાલાલનો જીવ બચાવી શકાયો હોત.

kalyan mumbai mumbai news