08 February, 2026 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં જંતરમંતર પર ધરણાં કરતા ઓલા, ઉબર, રૅપિડોના ડ્રાઇવરો.
શનિવારે ઍપ-આધારિત ટૅક્સીઓ અને ઑટોરિક્ષાના ડ્રાઇવરોએ એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડી હતી.
મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે રાઇડ એગ્રીગેટર્સ (ઓલા, ઉબર, રૅપિડો)ને ચેતવણી આપી હતી કે જો તેઓ ડ્રાઇવરો સાથે અન્યાય કરશે તો સરકાર કંપનીઓ સામે યોગ્ય પગલાં લેશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર તેમના તમામ વાસ્તવિક મુદ્દાઓ પર ડ્રાઇવરોના પડખે ઊભા રહેવા માટે તૈયાર છે.
મહારાષ્ટ્ર કામદાર સભાના વડા ડૉ. કેશવ ક્ષીરસાગરે જણાવ્યું હતું કે હડતાળ સવારે મહારાષ્ટ્ર અને દેશના અન્ય ભાગોમાં શરૂ થઈ હતી. મોટા ભાગના ઑટોરિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોએ હડતાળને ટેકો આપ્યો છે. યુનિયને દાવો કર્યો હતો કે ડ્રાઇવરોએ તેમનાં વાહનો રસ્તાઓથી દૂર રાખ્યાં છે.
મહારાષ્ટ્ર કામદાર સભાએ અગાઉ કહ્યું હતું કે હડતાળનો હેતુ રાઇડ એગ્રીગેટર્સની ‘મનસ્વી’ ભાડાનીતિઓનો વિરોધ કરવાનો હતો જેમાં લાઇસન્સપ્રાપ્ત કૅબ અને ઑટોરિક્ષા-ડ્રાઇવરોની આજીવિકાને અસર કરતી ગેરકાયદેસર બાઇક-ટૅક્સી સામે કડક પગલાં અમલમાં મૂકવાની માગણી કરવામાં આવી હતી.
ગિગ વર્કર્સ (છૂટક કામ કરતા વર્કર, ડ્રાઇવર)નું પ્રતિનિધિત્વ કરતા યુનિયને એવો પણ આરોપ લગાવ્યો હતો કે પૅનિક બટનનું ફરજિયાત ઇન્સ્ટૉલેશન ઑપરેટરો માટે આર્થિક બોજ બની ગયું છે. કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલાં ૧૪૦ પૅનિક બટન ડિવાઇસ પ્રોવાઇડર છે, પરંતુ રાજ્ય સરકારે આમાંથી લગભગ ૭૦ ટકા કંપનીઓને ગેરકાયદે જાહેર કરી છે. પરિણામે કૅબ-ડ્રાઇવરોને અગાઉ ઇન્સ્ટૉલ કરેલાં ડિવાઇસ દૂર કરવા અને નવાં ડિવાઇસ ઇન્સ્ટૉલ કરવા માટે લગભગ ૧૨,૦૦૦ રૂપિયા બિનજરૂરી રીતે ખર્ચ કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે ગંભીર મુશ્કેલી પડી રહી છે.
ડ્રાઇવરોના સંગઠને ઓપન પરમિટ નીતિ હેઠળ ઑટોરિક્ષાની સંખ્યામાં વધારો થવાને કારણે આવકના નુકસાન વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને એવો પણ આરોપ લગાવ્યો હતો કે ગેરકાયદેસર બાઇક-ટૅક્સીઓને લગતા અકસ્માતોનો ભોગ બનેલા લોકોને વીમા લાભો નકારવામાં આવે છે.
રાજ્યના ટ્રાન્સ્પોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘હડતાળને કારણે મુસાફરોને તકલીફ ન પડવી જોઈએ. વાહનચાલકોએ રાજ્ય સરકાર પાસેથી તેઓ કયા સમર્થનની અપેક્ષા રાખે છે એ સ્પષ્ટપણે જણાવવું જોઈએ. અમે તમામ વાસ્તવિક મુદ્દાઓ પર તેમની સાથે ઊભા રહેવા માટે તૈયાર છીએ. જો ઍગ્રીગેટર કંપનીઓ ડ્રાઇવરો પ્રત્યે અન્યાયી વર્તન કરશે તો સરકાર કાર્યવાહી કરવામાં અચકાશે નહીં. જો ઓલા, ઉબર અથવા રૅપિડોના માલિકો ખોટી રીતે વર્તન કરશે અને ડ્રાઇવરો પ્રત્યે અન્યાય કરશે તો રાજ્ય સરકાર તેમની સામે યોગ્ય પગલાં લેશે.’