19 March, 2026 07:10 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
અશોક ખરાત
નાશિકના પ્રખ્યાત જ્યોતિષી અશોક ખરાતની એક મહિલા પર બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આરોપીની તપાસ બાદ પોલીસને તેની ઑફિસમાંથી ૫૮ બીભત્સ વિડિયો મળી આવ્યા છે અને CCTV કૅમેરાનાં ફુટેજમાં પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસને હની-ટ્રૅપિંગ અને બ્લૅકમેઇલિંગ રૅકેટની શંકા હોવાથી તપાસ વધુ કડક બનાવવામાં આવી છે.
અશોક ખરાત પોતાને ભવિષ્યવેત્તા તરીકે ઓળખાવે છે અને અનેક હાઈ-પ્રોફાઇલ લોકો પણ તેની પાસે જ્યોતિષ જોવડાવવા આવે છે. ૩૫ વર્ષની એક મહિલા દ્વારા દાખલ કરાયેલી બળાત્કારની ફરિયાદે અશોક ખરાતની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો છે જેને પગલે નાશિકમાં સરકારવાડા પોલીસે સ્વઘોષિત ‘કૅપ્ટન’ અશોક ખરાતની ધરપકડ કરી છે.
મહિલાની ફરિયાદ મુજબ તેને બેભાન થવાની દવા પીવડાવીને ધાર્મિક વિધિના નામે તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આવી રીતે અનેક મહિલાઓને ફસાવી હોવાની શંકાના પગલે પોલીસે ૫૮ વાંધાજનક વિડિયો ધરાવતી પેન-ડ્રાઇવ શોધી કાઢી હતી. આ વિડિયોમાં અનેક મહિલાઓ તેમ જ હાઈ-પ્રોફાઇલ વ્યક્તિઓની સંડોવણી અને ઓળખ છતી થવાની શક્યતા છે.
અશોક ખરાતે ઓક્સ પ્રૉપર્ટી ડીલર ઍન્ડ ડેવલપર્સ નામની પોતાની ઑફિસમાં ગુપ્ત રીતે CCTV કૅમેરા લગાવ્યા હતા. એવી શંકા છે કે તે મહિલાઓનું શોષણ કરતો હતો અને ભવિષ્ય ભાખવાના નામે પ્રલોભનો આપીને તેમની સાથે ચેનચાળા કરીને છૂપી રીતે તેમનો વિડિયો રેકૉર્ડ કરતો હતો.
અશોક ખરાત નિવૃત્ત મર્ચન્ટ નેવી અધિકારી હોવાનો દાવો કરે છે. તેના દાવા મુજબ બાવીસ વર્ષના સમયગાળામાં તેણે અનેક દેશોની મુસાફરી કરી છે. નિવૃત્તિ પછી તેણે બ્રહ્માંડની ઉત્પત્તિ અને રચનાનો અભ્યાસ કર્યો અને જ્યોતિષ ક્ષેત્રમાં સુવર્ણચંદ્રક જીત્યો. તે પોતાને જ્યોતિષ અને ન્યુમરોલૉજીના નિષ્ણાત તરીકે ઓળખાવે છે. તે શિવનિકા ટ્રસ્ટનો વડો છે અને ઈશાનેશ્વર મંદિરની તેણે સ્થાપના કરી છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ આ મંદિરમાં જઈને દર્શન કર્યાં છે. આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મહિલા આયોગનાં અધ્યક્ષ રૂપાલી ચાકણકરનો આ ભોંદુબાબાને પગે લાગતો વિડિયો પણ ગઈ કાલે વાઇરલ થતાં લોકોએ તેમની સામે પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.