14 September, 2026 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેન્ટ્રલ રેલવે
ગણેશોત્સવ પહેલાં રવિવારે રજાના દિવસે મોટા ભાગના મુંબઈગરાઓ ખરીદી કરવા નીકળે છે ત્યારે સેન્ટ્રલ રેલવેમાં પ્રવાસ કરનારાઓને ગઈ કાલે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક તો મેગા બ્લૉક હતો અને ઓવરહેડ વાયરમાં ખામી સર્જાવાને કારણે લોકલ ટ્રેનો ઉપરાંત એક્સપ્રેસ-મેલ ટ્રેનોની સર્વિસમાં પણ ભંગાણ પડ્યું હતું અને એ ૪૫ મિનિટથી એક કલાક સુધી મોડી ચાલી રહી હતી.
કલ્યાણ સ્ટેશન પર પ્લૅટફૉર્મ-નંબર બે પર આવેલા ઓવરહેડ વાયરમાં ખામી સર્જાતાં ટ્રેન-સર્વિસને અસર થઈ હતી. એનું સમારકામ શરૂ કરવામાં આવ્યું ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્લૅટફૉર્મ-નંબર ૩, ૪ અને પાંચની ઇલેક્ટ્રિક સપ્લાય પણ બંધ કરી દેવામાં આવી હતી, જેને કારણે
ટ્રેન-સર્વિસને ફટકો પહોંચ્યો હતો. મોટા ભાગની ટ્રેનોને પ્લૅટફૉર્મ-નંબર ૭ પરથી દોડાવવામાં આવી હતી. જોકે આ સમસ્યાને કારણે સેન્ટ્રલ રેલવેનું રવિવારનું આખું ટાઇમટેબલ ખોરવાઈ ગયું હતું જેને કારણે પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.