03 September, 2026 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટમાં દિશા સાલિયાનના પપ્પા સતીશ સાલિયાન.
બૉલીવુડના દિવંગત ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયાનના મૃત્યુના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે મોટો ચુકાદો આપતાં આ મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ ૬ વર્ષ સુધી ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) ન નોંધવા બદલ મુંબઈ પોલીસની કડક શબ્દોમાં ઝાટકણી કાઢતાં અદાલતે કહ્યું હતું કે પોલીસની તપાસ ઉત્તરો આપવાને બદલે વધુ પ્રશ્નો ઊભા કરે છે.
બેન્ચે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે કોઈ પણ કેસની તપાસ વધુ પડતા લાંબા સમય સુધી ચાલી શકે નહીં તેથી આ કેસમાં કેન્દ્રીય એજન્સી દ્વારા નિષ્પક્ષ તપાસ થવી અત્યંત જરૂરી છે.
હાઈ કોર્ટે પોલીસ દ્વારા ૬ વર્ષ સુધી આ ઘટનાને માત્ર અકસ્માતે થયેલું મોત ગણાવવા સામે સવાલો ઉઠાવ્યા હતા અને પોલીસતપાસમાં ભારે વિસંગતતાઓ નોંધી હતી.
અદાલતે CBIને તાત્કાલિક FIR નોંધીને મરનારના પિતા સતીશ સાલિયાનનું નિવેદન લેવાનો નિર્દેશ આપ્યો છે. જોકે કોર્ટે એવી સ્પષ્ટતા પણ કરી છે કે જ્યાં સુધી તપાસ દરમ્યાન પૂરતા પુરાવા ન મળે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને ગુનેગાર કે આરોપી ગણી શકાશે નહીં.
ઉલ્લેખનીય છે કે દિશાના પિતા સતીશ સાલિયાને ૨૦૨૦માં તેમની પુત્રીના મોતની પરિસ્થિતિઓ વિશે શંકા વ્યક્ત કરીને શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરે વિરુદ્ધ FIR નોંધવાની માગણી સાથે હાઈ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જોકે હાઈ કોર્ટે કોઈ વ્યક્તિવિશેષ સામે ટિપ્પણી કરવાનું ટાળીને તપાસનો આખો મામલો હવે CBI પર છોડી દીધો છે.
દિશા સાલિયાનના પપ્પા સતીશ સાલિયાને ચુકાદાને સત્યનો વિજય ગણાવ્યો
બૉમ્બે હાઈ કોર્ટે CBIને દિશા સાલિયાન કેસની તપાસ સોંપતાં તેના પપ્પા સતીશ સાલિયાન ભાવુક થઈ ગયા હતા. તેમણે અદાલતના ચુકાદાને સત્યનો વિજય ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી મેં એક પણ આંસુ વહાવ્યું નહોતું, પરંતુ આજે આંસુ વહી રહ્યાં છે. તેમણે કાનૂની ટીમની સલાહ મુજબ તપાસમાં સહકાર આપવાની ખાતરી આપી હતી.
દિશા સાલિયાનના કેસનો ઘટનાક્રમ
દિશા સાલિયાનનું મૃત્યુ ૨૦૨૦ની ૮ જૂને થયું હતું. મુંબઈના મલાડ વિસ્તારમાં રહેતી દિશા બિલ્ડિંગના ૧૪મા માળેથી પડી ગઈ હતી. અેના સંદર્ભે એ સમયે મુંબઈ પોલીસે અૅક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધ્યો હતો.
દિશાએ મૃત્યુ પહેલાં થોડા સમય માટે સુશાંત સિંહ રાજપૂતના મૅનેજર તરીકે કામ કર્યું હતું. દિશાના મૃત્યુ પછી ૧૪ જૂને સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હોવાના રિપોર્ટ પર કોર્ટે હજી સુધી નિર્ણય લીધો નથી.
દિશાના પિતા સતીશ સાલિયાને આ કેસમાં ૨૦૨૫ના માર્ચમાં બૉમ્બે હાઈ કોર્ટમાં CBI તપાસની માગણી કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી અને દાવો કર્યો હતો કે તેના મૃત્યુ માટે જવાબદાર આસપાસની પરિસ્થિતિઓને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરે સામે FIR નોંધાવવાની પણ માગણક્ષ કરી હતી.
દિશા સાલિયાનના મૃત્યુને પ્રાથમિક તપાસમાં આત્મહત્યા માનવામાં આવી હતી. ૨૦૨૫ના જુલાઈમાં બૉમ્બે હાઈ કોર્ટમાં અૅફિડેવિટ દાખલ કર્યું જેમાં પોલીસના જણાવ્યા મુજબ દિશા ફ્લૅટની બારીમાંથી કૂદી પડી હતી. જોકે પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં તેની બૉડી પર જાતીય કે શારીરિક હુમલાના કોઈ નિશાન મળ્યા નહોતા.
બુધવારે હાઈ કોર્ટે નોંધ્યું હતું કે લગભગ છ વર્ષ પસાર થયા છતાં, પોલીસે કૉગ્નિઝેબલ ગુના માટે FIR નોંધ્યો નથી.
મુંબઈ પોલીસને તાત્કાલિક તમામ સંબંધિત કેસ પેપર્સ CBIને સોંપવાનો પણ આદેશ આપ્યો છે.