26 May, 2026 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
બકરી ઈદ પહેલા સોમવારે મુંબઈના મીરા રોડ વિસ્તારમાં આવેલી એક હાઉસિંગ સોસાયટીમાં બકરા રાખવાને લઈને તણાવ શરૂ થયો. આ ઘટના મીરા રોડના પૂનમ એસ્ટેટ ક્લસ્ટર 1 કોમ્પ્લેક્સમાં બની હતી, જ્યાં બકરી ઈદની તૈયારી માટે આશરે 25 બકરીઓને લાવીને એક કામચલાઉ શેડમાં રાખવામાં આવ્યા હતા. સોસાયટીના ઘણા રહેવાસીઓએ આ વ્યવસ્થા સામે વાંધો ઉઠાવ્યો હતો, અને આરોપ લગાવ્યો હતો કે સોસાયટીની સત્તાવાર બેઠક અથવા રહેવાસીઓમાં વ્યાપક સર્વસંમતિ વિના શેડ બનાવવાની પરવાનગી આપવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, સોસાયટી પરિસરમાં બકરાઓ હોવાની અસુવિધા થઈ રહી હતી. અહેવાલ મુજબ, સ્થાનિક ભાજપ નેતાઓ, હિન્દુ સંગઠનોના સભ્યો અને રહેવાસીઓ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદોને પગલે મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓએ કાર્યવાહી કરી હતી. કાશીમીરા પોલીસ અને મ્યુનિસિપલ અધિકારીઓના હસ્તક્ષેપ બાદ કામચલાઉ શેડ તોડી પાડવામાં આવ્યો હતો.
રાત્રે પરિસ્થિતિ ફરી તંગ બની ગઈ, કારણ કે શેડ દૂર કર્યા પછી પણ બકરીઓ સોસાયટીના પરિસરમાં જ હોવાના આક્ષેપો સામે આવ્યા. આના કારણે બે વિરોધી જૂથો વચ્ચે દલીલો અને હોબાળો થયો. હંગામા વચ્ચે, એક અજાણ્યા વ્યક્તિએ એક યુવાન પર બ્લેડ વડે હુમલો કર્યો હતો, જેના કારણે તે ઘાયલ થયો હતો. પોલીસે આ ઘટના અંગે કેસ નોંધ્યો છે, અને પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે. સોસાયટીના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે પરિસરમાં કુરબાની (બલિ) માટે પરવાનગી આપવામાં આવી ન હતી. તેમણે જણાવ્યું હતું કે આ વ્યવસ્થા ફક્ત ઈદ સુધી બકરીઓના કામચલાઉ રહેઠાણ માટે હતી.
મંગળવારે પણ પૂનમ એસ્ટેટ ક્લસ્ટર 1 ખાતે રહેવાસીઓએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો. વિરોધીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાઈ કોર્ટના નિર્દેશો અનુસાર, યોગ્ય પરવાનગી વિના રહેણાંક સંકુલમાં કુરબાની આપી શકાતા નથી. આ જ મુદ્દો ગયા દિવસે સોસાયટીમાં વિવાદનું કારણ બન્યો હતો.
આ મામલો હવે મુંબઈના રાજકારણમાં ગરમાયો છે. ભાજપના નેતાઓએ બકરી ઈદ દરમિયાન હાઉસિંગ સોસાયટીઓમાં થતી ગેરકાયદેસર પશુ બલિ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. મુંબઈના મેયર રીતુ તાવડે સહિત ભાજપના અનેક ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને મુંબઈ પોલીસને પત્ર લખીને નિયમોના ઉલ્લંઘન સામે કાર્યવાહી અને સતર્કતા વધારવાની માગ કરી છે. આ પત્ર પર ભાજપના ધારાસભ્યો મિહિર કોટેચા, અતુલ ભટખલકર, મનીષા ચૌધરી, પરાગ શાહ અને સંજય ઉપાધ્યાય સહિત અનેક નેતાઓએ સહી કરી હોવાનું જાણવા મળે છે.