બંગલાદેશમાં હિન્દુ પત્રકાર કટ્ટરપંથી ઇસ્લામિસ્ટોને પ્રોટેક્શન-મની ચૂકવતો હતો છતાં ન બચ્યો

08 January, 2026 12:12 PM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

સંબંધીઓએ જણાવ્યું કે રાણા પ્રતાપ બૈરાગીએ સુરક્ષા માટે લગભગ ત્રણ લાખ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં સોમવારે તેની હત્યા કરવામાં આવી

રાણા પ્રતાપ બૈરાગી

બંગલાદેશના જેસોર જિલ્લામાં બરફ-ફૅક્ટરીના માલિક અને પત્રકાર તરીકે પણ કાર્યરત ૩૭ વર્ષના રાણા પ્રતાપ બૈરાગીની સોમવારે નજીકથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

હુમલાખોરોએ તેમના પર ૭ ગોળીઓ ચલાવી હતી. બૈરાગીના સંબંધીઓએ જણાવ્યું હતું કે તેઓ મહિનાઓથી કટ્ટરપંથી ઇસ્લામવાદીઓને રક્ષણ માટે પૈસા ચૂકવી રહ્યા હતા. તેમણે આશરે ૩ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેમની હત્યાથી સ્થાનિક હિન્દુ સમુદાયમાં પણ ભય ફેલાયો છે. તેઓ હવે ચાલુ હિંસા વચ્ચે સંપૂર્ણપણે અસુરક્ષિત અનુભવે છે.

બૈરાગી કેશબપુર ઉપજિલ્લાના અરુઆ ગામમાં જાણીતા હતા, જ્યાં ૧૦૦થી વધુ હિન્દુ ઘરો છે. બરફની ફૅક્ટરીના માલિક એવા બૈરાગી રાજકીય રીતે સક્રિય હતા. તેમને લઘુમતીઓના અવાજ તરીકે જોવામાં આવતા હતા અને નિયમિત તેમની સમસ્યાઓ અધિકારીઓ સમક્ષ ઉઠાવતા હતા.

બૈરાગીના પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે લઘુમતીઓને હવે ડર હોય છે કે તેઓ બીજા દિવસ સુધી જીવિત નહીં રહે. બૈરાગીની હત્યાના થોડા કલાકો પછી બીજી એક હિન્દુ વ્યક્તિ મણિ ચક્રવર્તીની હત્યા કરવામાં આવી હતી. એક જ દિવસે થયેલાં બે મૃત્યુથી પ્રદેશના લઘુમતી પરિવારોમાં ગભરાટ ફેલાયો છે.

શેખ હસીનાની પાર્ટી સાથે જોડાયેલો હતો

બૈરાગીના પરિવારજનો માને છે કે તેમના રાજકીય જોડાણને કારણે તેઓ નિશાન બન્યા હશે. બૈરાગી ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાના નેતૃત્વ હેઠળના અવામી લીગ સાથે જોડાયેલા હતા. ગયા વર્ષે ઑગસ્ટમાં હસીનાને સત્તા પરથી દૂર કર્યા પછી આ વિસ્તારની પરિસ્થિતિમાં તીવ્ર ફેરફાર થયો હતો. ત્યારથી લઘુમતીઓમાં ભય વધ્યો છે. બૈરાગીને ગોળી મારતાં પહેલાં તેમની ફૅક્ટરી નજીક બોલાવવામાં આવ્યા હતા. તેમની ઘટનાસ્થળે જ હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો દાવો કરી શકે છે કે તેમણે વિવાદાસ્પદ લેખો લખ્યા હતા, પરંતુ હુમલાખોરોનો વાસ્તવિક ઉદ્દેશ હિન્દુ નેતાને ખતમ કરવાનો હતો. તેઓ માને છે કે સંદેશ સ્પષ્ટ હતો : જો બૈરાગી જેવા કોઈની હત્યા કરી શકાય છે તો અન્ય લોકો બોલવામાં ડરશે.

બંગલાદેશમાં હજી એક હિન્દુ યુવાને જીવ ગુમાવ્યો

ચોર સમજીને લોકોએ પીછો કર્યો ત્યારે મિથુન સરકારે નહેરમાં કૂદકો મારી દીધો, પણ ડૂબી ગયો

બંગલાદેશમાં ચોરીની શંકામાં પીછો કરી રહેલા ટોળાથી બચવા માટે પચીસ વર્ષના હિન્દુ યુવક મિથુન સરકારે એક નહેરમાં કૂદકો મારી દીધો હતો. જોકે નહેરના પાણીમાં ડૂબી જતાં તેણે જીવ ગુમાવ્યો હતો. પોલીસે મંગળવારે બપોરે નહેરમાંથી તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. આ ઘટના નૌગાંવ જિલ્લાના મહાદેવપુર વિસ્તારમાં બની હતી. ભંડારપુર ગામના રહેવાસી મિથુનનું મૃત્યુ છેલ્લા કેટલાક દિવસોમાં બંગલાદેશમાં ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવતી હિંસક ઘટનાઓની શ્રેણીમાં નવીનતમ ઘટના છે. મિથુન કોઈ ચોરીમાં સંડોવાયેલો હતો કે કેમ એ વિશે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી.

international news world news bangladesh Crime News hinduism murder case