બંગલાદેશમાં હવે હિન્દુને ઊંઘમાં સળગાવી દેવામાં આવ્યો

26 January, 2026 08:46 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

૨૩ વર્ષનો યુવાન ગૅરેજમાં સૂતો હતો ત્યારે હુમલાખોરે શટર પાડીને પેટ્રોલ રેડ્યું અને આગ લગાવી દીધી, પરિવારે કહ્યું કે પ્લાનિંગથી હત્યા કરવામાં આવી

ચંચલ ચંદ્ર ભૌમિક

બંગલાદેશના નારસિંગડીમાં શુક્રવારે રાત્રે ૨૩ વર્ષનો ચંચલ ચંદ્ર ભૌમિક નામનો હિન્દુ યુવાન તેની દુકાનમાં સૂઈ ગયો હતો ત્યારે તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. હુમલાખોરે દુકાનનું શટર બંધ કરી દીધું હતું, પેટ્રોલ રેડ્યું હતું અને પછી આગ લગાવી દીધી હતી. સાક્ષીઓએ જણાવ્યું હતું કે હુમલાખોર ચંચલને સળગાવી દેવામાં આવ્યો ત્યાં સુધી બહાર રહ્યો હતો અને પછી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. તેનો પરિવાર અને પાડોશીઓ માને છે કે આ હત્યા પૂર્વયોજિત હતી અને ધાર્મિક દ્વેષથી પ્રેરિત હોઈ શકે છે.

ચંચલ પોતાના પરિવારનો એકમાત્ર કમાનાર હતો, જે પિતાના મૃત્યુ પછી તેની બીમાર માતા, દિવ્યાંગ મોટા ભાઈ અને નાના ભાઈની સંભાળ રાખતો હતો. તે છેલ્લાં ૬ વર્ષથી એક સ્થાનિક ગૅરેજમાં કામ કરતો હતો અને ત્યાં રહેતો હતો. સ્થાનિક રહેવાસીઓએ અને ગૅરેજના માલિકે ચંચલને એક સરળ અને પ્રામાણિક યુવાન ગણાવ્યો હતો જેની કોઈની સાથે દુશ્મનાવટ નહોતી. 

ભૂતકાળમાં આવા જ હુમલાઓમાં દીપુ ચંદ્ર દાસ અને ખોખન ચંદ્ર દાસને સળગાવીને મારવામાં આવ્યા હતા. આવી ઘટનાઓને કારણે બંગલાદેશના હિન્દુ સમુદાયમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.

international news world news bangladesh murder case Crime News