05 April, 2025 12:13 PM IST | Rajkot | Gujarati Mid-day Correspondent
રાજકોટના સાકરિયા પરિવારે બનાવ્યું બદામનું રામમંદિર, એનું વજન છે ૩૨ કિલો
રાજકોટની ગાયત્રી ડેરીના કિશોરભાઈ અને તેજભાઈ સાકરિયાએ રામનવમી નિમિત્તે બદામથી રામમંદિરની પ્રતિકૃતિ બનાવી છે. આ મંદિરનું વજન ૩૨ કિલો છે અને એમાં રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની મૂર્તિઓ પણ છે. દૂધની ડેરી અને ડેરી પ્રોડક્ટ્સની શૉપ ચલાવતા કિશોરભાઈ અને તેજભાઈ સાકરિયાને રામનવમીના પર્વમાં કંઈક નવું કરવું હતું. તેઓ કહે છે, ‘અમે વિચાર્યું કે કંઈક હટકે કરવું હોય તો એ માટે ફૂડ પ્રોડક્ટ્સ જ વાપરીએ. બહુ વિચાર્યા પછી બદામનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. અમે ઉત્તમ ક્વૉલિટીની બદામ લીધી, એને રોસ્ટ કરી અને પછી એમાંથી મંદિર બનાવ્યું.’
બદામનું રામમંદિર અત્યારે રાજકોટમાં ગાયત્રી ડેરીની દુકાને લોકોને જોવા અને દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ૩૨ કિલો વજનના મંદિરમાં અંદર ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનની મૂર્તિ પણ છે. રામનવમીની ઉજવણી પછી આ મંદિર રાજકોટના મોટા રામમંદિરમાં ભેટરૂપે સોંપી દેવામાં આવશે.