30 May, 2026 11:02 AM IST | Junagadh | Gujarati Mid-day Correspondent
સિંહોની સારવાર કરાઈ રહી છે
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં ૮ બાળસિંહોનાં શંકાસ્પદ મોત થયાં છે. આ બાળસિંહોનાં સૅમ્પલ લઈને મોતનું સાચું કારણ શોધવા માટે રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યાં છે. ગીરના સાવજોનાં મોતને લઈને ગુજરાત સરકાર ચિંતિત છે અને વનવિભાગે ઍક્શન મોડમાં આવીને સિંહોને વૅક્સિનેશન સહિતની સારવારની કામગીરી હાથ ધરી છે. વડા પ્રધાન અને ગુજરાતના મુખ્ય પ્રધાનના કાર્યાલય દ્વારા પણ આ મામલે સીધું મૉનિટરિંગ થઈ રહ્યું છે.
ગુજરાતના વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં ખાસ કરીને ગીર ગઢડા તાલુકા અને અમરેલીના બાબરિયા વિસ્તારમાં બાળસિંહોનાં શંકાસ્પદ મોતના પગલે ગુજરાતનો વનવિભાગ ઍક્શન મોડમાં આવીને પગલાં લઈ રહ્યો છે. વનવિભાગના વેટરિનરી ડૉક્ટરોની ટીમ દ્વારા સ્થળ પર સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. છેલ્લા બે દિવસમાં આ પ્રકારની એક પણ નવી ઘટના ધ્યાનમાં આવી નથી. પ્રાથમિક ધારણા મુજબ બાળસિંહોનાં આ શંકાસ્પદ મોત બેબીસિયોસિસ નામના વાઇરસથી થયાં હોવાની આશંકા છે. મૃત્યુ પામેલા બાળસિંહોનાં સૅમ્પલ લઈને ગુજરાત બાયોટેક્નૉલૉજી રિસર્ચ સેન્ટરમાં મોકલ્યાં છે. એનો રિપોર્ટ ત્રણથી ૪ દિવસમાં આવી જશે. અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે. ઇતરડી નામના જંતુથી ફેલાતા આ રોગને રોકવા માટે ગીર અને એની બહારના વિસ્તારોમાં મોટા પાયે ડી-ટીકિંગ – ઇતરડી નાશક પ્રિવેન્ટિવ કામગીરી કરવામાં આવી રહી છે.’
ગુજરાતમાં બાળસિંહોનાં જે વિસ્તારમાં મોત થયાં છે એ વિસ્તારોના કુલ ૧૭ જેટલા સિંહને આઇસોલેટ કરીને એમની કાળજી લેવામાં આવી રહી છે.
ગીર ગઢડા અને બાબરિયા વિસ્તારની ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું મૉનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસૂલી વિસ્તારમાં તમામ સિંહોનું નિરીક્ષણ વનવિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ઉનાળાની શરૂઆતમાં જોવા મળતી સીઝનલ બીમારી સામે સલામતીના ભાગરૂપે ગીર વિસ્તારના ૩૫૦થી વધુ સિંહોના ડી-ટીકિંગ અને અન્ય આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.