20 April, 2026 01:27 PM IST | Mumbai | Shilpa Bhanushali
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)
ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ`માં...
`વાસ્તુ વાઇબ્સ`ના આજના આર્ટિકલમાં આપણે સમજીશું કે સૉલ્ટની શક્તિ અને તેના વિશેની માન્યતા, ઊર્જા અને પ્રાકૃતિક ઉપાયો વિશે વિગતે..
મીઠું વર્ષોથી વિવિધ સંસ્કૃતિઓમાં શુદ્ધતા અને નકારાત્મક અસર દૂર કરવા માટે ઉપયોગમાં લેવાતું રહ્યું છે. આજકાલ પણ ઘણા લોકો ઘરમાં બાથરૂમમાં મીઠાના વાસણ રાખે છે, મીઠાંવાળાં પાણીથી પોતું કરે છે અથવા સૉલ્ટ લેમ્પ્સ વાપરે છે. પરંતુ શું આ બધું વાસ્તુ મુજબ યોગ્ય છે કે નહીં તે સમજવું જરૂરી છે.
જૂના સમયમાં મીઠાને ઊર્જા શોષી લેવાની ક્ષમતા ધરાવતું માનવામાં આવતું હતું. ખાસ કરીને નકારાત્મક અસર દૂર કરવા માટે તેનો ઉપયોગ થતો. કોઈ વ્યક્તિ અથવા વસ્તુ પરથી ખરાબ અસર દૂર કરવા માટે મીઠું ફેરવવાનું ચલણ હતું. પરંતુ એક મહત્વની બાબત એ હતી કે જે મીઠું આ રીતે ઉપયોગમાં લેવાતું, તેને ઘરમાં રાખવામાં આવતું નહોતું. તેને તરત જ બહાર ફેંકી દેવામાં આવતું. કારણ કે મીઠું નકારાત્મક ઊર્જા શોષી લીધા પછી તેને અંદર રાખવું યોગ્ય માનવામાં આવતું નહોતું.
આજના સમયમાં લોકો બાથરૂમ કે ઘરના ખૂણામાં લાંબા સમય સુધી મીઠું રાખે છે. તેઓ માને છે કે તે સતત નકારાત્મક ઊર્જા દૂર કરશે. પરંતુ હકીકતમાં આવું કરવાથી મીઠું નકારાત્મક ઊર્જા એકઠી કરતું રહે છે. ખાસ કરીને બાથરૂમ જેવી જગ્યાએ જ્યાં હવા ઓછી ફરે છે, ત્યાં આ અસર વધુ વધી શકે છે. લાંબા સમય પછી આ એકઠી થયેલી ઊર્જા ફરીથી આસપાસ ફેલાઈ શકે છે. જેના કારણે ઘરમાં રહેતા લોકોને ચીડિયાપણું, ભાર લાગવો કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.
મીઠાંવાળાં પાણીથી પોતું કરવું પણ આજકાલ સામાન્ય બની ગયું છે. પરંતુ મીઠું જમીનમાં શોષાઈ જાય છે અને તે નકારાત્મક ઊર્જાને પોતાની અંદર જાળવી રાખે છે. આ કારણે ઘરમાં ભારેપણું કે નકારાત્મકતા અનુભવાઈ શકે છે.
સૉલ્ટ લેમ્પ્સ પણ લોકપ્રિય છે, પરંતુ તેઓ લાંબા સમય સુધી એક જગ્યાએ રહેતા હોવાથી તેમાં પણ ઊર્જા એકઠી થવાની શક્યતા રહે છે.
હવાની અવર જવર થવા દેવી: ઘરમાં બારીઓ ખોલીને તાજી હવા આવવા દેવી.
સૂર્યપ્રકાશ: ઘરમાં સૂર્યપ્રકાશ આવવાથી જગ્યા સ્વચ્છ અને તાજગીભરી રહે છે.
લીંબડાના પાણીથી પોતું કરો: લીંબડાના પાન પાણીમાં પલાળી તેનાથી પોતું કરવાથી જગ્યા સ્વચ્છ રહે છે.
બાથરૂમમાં વેન્ટિલેશન: બાથરૂમમાં એક્ઝોસ્ટ અને હવા ફરવાની યોગ્ય વ્યવસ્થા રાખવી.
મીઠું યોગ્ય રીતે અને સાવધાનીથી ઉપયોગમાં લેવાય તો જ ફાયદાકારક છે. લાંબા સમય સુધી મીઠું ઘરમાં રાખવું અથવા તેનો વધુ ઉપયોગ કરવો નુકસાનકારક બની શકે છે. તેથી કુદરતી અને સલામત ઉપાયો અપનાવવા વધારે સારા છે.
Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui
Tel (O): +91-9324512864.
Email: consciousvaastu@gmail.com
www.consciousvaastu.com