23 April, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યશે ઉજ્જૈન જઈને બાબા મહાકાલના આશીર્વાદ લીધા
નીતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી ‘રામાયણ’નું શૂટિંગ પુરજોશમાં ચાલુ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના અને સઈ પલ્લવી સીતા માતાના રોલમાં જોવા મળશે. હાલમાં સની દેઓલે કન્ફર્મ કર્યું છે કે તે આ ફિલ્મમાં હનુમાનનો રોલ ભજવી રહ્યો છે અને હવે KGF સ્ટાર યશ પણ ‘રામાયણ’માં રાવણનો રોલ ભજવવા તૈયાર છે. આ ફિલ્મમાં યશનું શૂટિંગ બહુ જલદી શરૂ થવાનું છે ત્યારે શૂટિંગ શરૂ કરતાં પહેલાં યશે ઉજ્જૈન જઈને બાબા મહાકાલના આશીર્વાદ લેવાનું પસંદ કર્યું છે. તેણે ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. યશ હંમેશાં મંદિરમાં દર્શન કરીને નવા પ્રોજેક્ટની શરૂઆત કરે છે અને આ પરંપરાના ભાગરૂપે જ તેણે બાબા મહાકાલનાં દર્શન કરવાનું પસંદ કર્યું હતું.
યશ માટે આ ફિલ્મ બહુ મહત્ત્વની છે કારણ કે તે આ ફિલ્મમાં માત્ર ઍક્ટિંગ નથી કરી રહ્યો, સાથે-સાથે ફિલ્મને કો-પ્રોડ્યુસ પણ કરી રહ્યો છે. આ ફિલ્મનો પહેલો ભાગ ૨૦૨૬ના ઑક્ટોબર મહિનામાં દિવાળી વખતે અને બીજો ભાગ ૨૦૨૭માં રિલીઝ કરવામાં આવશે.
બાવરી પણ પહોંચી બાબાના દરબારમાં
સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બાવરીનો રોલ ભજવીને લોકપ્રિયતા મેળવનાર ઍક્ટ્રેસ મોનિકા ભદૌરિયાએ પણ ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલનાં દર્શન કરીને તેમના આશીર્વાદ લીધા હતા. મોનિકાએ સવારે ચાર વાગ્યે થતી ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને પછી નંદી હૉલમાં ધ્યાન ધરીને ભગવાનના આશીર્વાદ લીધા હતા.