04 March, 2026 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના બ્લૉગ અને સોશ્યલ મીડિયા દ્વારા ચાહકો સાથે વિચારો વહેંચતા રહે છે. તાજેતરમાં તેમણે પોતાના જુહુ ખાતે આવેલા નિવાસ ‘જલસા’ સાથે જોડાયેલી યાદો વિશે ભાવુક નોંધ લખી અને આ ઘર તેમના જીવનમાં કેટલું ખાસ સ્થાન ધરાવે છે એ જણાવ્યું.
અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગમાં લખ્યું કે ‘ત્રણ દાયકાથી વધુ સમયથી ‘જલસા’ માત્ર એક ઘર નથી, લાખો ચાહકોના પ્રેમ અને આશીર્વાદનું પવિત્ર સ્થાન બની ગયું છે. દર અઠવાડિયે વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને અનેક ચાહકો અમારા ઘરની બહાર મુલાકાત લેવા આવે છે અને હું આ પ્રેમને ‘દિવ્ય ઉપસ્થિતિ’ તરીકે અનુભવું છું. આ સ્નેહ અને લાગણી મારા માટે હંમેશાં અનમોલ રહેશે.’
અમિતાભે પોતાના બ્લૉગમાં આગળ લખ્યું છે કે ‘‘જલસા’ મારા પરિવારના જીવનની અગત્યની પળોનું સાક્ષી રહ્યું છે. અહીં મારાં સંતાનોના જન્મથી લઈને જીવનના અનેક યાદગાર પ્રસંગો ઊજવાયા છે અને હવે મારાં સંતાનોનાં બાળકોનાં સપનાંઓ પણ અહીં વસે છે. આ ઘર ખુશીઓ, યાદો અને પરિવારની એકતાનું પ્રતીક છે.’