કલકત્તાને કચડવા તૈયાર છે પંજાબના કિંગ્સ

06 April, 2026 02:53 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

છેલ્લે બન્ને વચ્ચે રમાયેલી લો-સ્કોરિ‍ંગ મૅચમાં પંજાબે ૧૧૨ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો

કેકેઆરની ટીમ

ઈડન ગાર્ડન્સમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે IPL 2026ની બારમી મૅચ રમાશે. વિજયરથ પર સવાર પંજાબ કિંગ્સ સામે સતત બે મૅચ હારનાર કોલકાતા નાઇટ રાઇડર્સની ટક્કર થશે. બન્ને ટીમ વચ્ચે છેલ્લે ૨૦-૨૦ ઓવરની સંપૂર્ણ મૅચ રમાઈ હતી ત્યારે લો-સ્કોરિંગ થ્રિલર જોવા મળ્યું હતું. મુલ્લાનપુરમાં કલકત્તાને ૯૫ રનમાં ઑલઆઉટ કરીને પંજાબે ૧૧૨ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો. શ્રેયસ ઐયર કલકત્તાને ૨૦૨૪માં ચૅમ્પિયન બનાવી ચૂક્યો છે. શ્રેયસ ઐયરની કૅપ્ટન્સી અને રિકી પૉન્ટિંગના કોચિંગ હેઠળ છેલ્લી સીઝનમાં રનર-અપ બનેલી પંજાબની ટીમ નવી સીઝનની શરૂઆતની મૅચમાં ગુજરાત અને ચેન્નઈને માત આપીને વિજયરથ પર સવાર છે. અભિષેક નાયર, શેન વૉટ્સન, ડ્વેન બ્રાવો, ઍન્દ્રે રસેલ, ટિમ સાઉધી જેવાં મોટાં નામોવાળો કોચિંગ-સ્ટાફ હોવા છતાં અજિંક્ય રહાણેના નેતૃત્વ હેઠળ પહેલી બન્ને મૅચ હારનાર કલકત્તાની ટીમ સંઘર્ષ કરી રહી છે. મુંબઈ અને હૈદરાબાદ સામે આ ટીમને કારમી હાર મળી હતી. ઈડન ગાર્ડન્સમાં બન્ને ટીમ વચ્ચે ૧૪ મૅચ રમાઈ છે. એમાંથી કલકત્તા ૯ મૅચ જીત્યું છે. ૪ મૅચમાં પંજાબને જીત મળી છે, જ્યારે ૨૦૨૫ની અંતિમ ટક્કર નો-રિઝલ્ટ રહી હતી. કલકત્તા પોતાના આ હોમગ્રાઉન્ડ પર છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ કરી રહી છે. છેલ્લી ૮ મૅચમાંથી કલકત્તા અહીં માત્ર બે મૅચ જીતી શક્યું છે. 

IPL 2026 kolkata knight riders eden gardens punjab kings cricket news sports news sports