03 March, 2026 05:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શિવમ દુબે, હાર્દિક પંડયા અને સૂર્યકુમાર યાદવ (તસવીર: X)
ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 ની સેમિફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને પ્રવેશ મેળવ્યો છે. ટીમ ઇન્ડિયા 5 માર્ચે ઇંગ્લૅન્ડ સામે ટકરાશે. આ મૅચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થવાની છે. તેથી આ એક હાઈ-વોલ્ટેજ મૅચ હશે તેમાં કોઈ શંકા નથી. ટીમ ઇન્ડિયા સુપર 8 રાઉન્ડની છેલ્લી મૅચ રમ્યા પછી કોલકાતાથી મુંબઈ આવી છે. પરંતુ ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને શિવમ દુબે ટીમ ઇન્ડિયા છોડીને ઘરે ગયા હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ ઍરપોર્ટ પરથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે સિવાય બાકીના ખેલાડીઓ બસ દ્વારા હૉટેલ ગયા હતા. જ્યારે આ ત્રણેય પોતાની ખાનગી કારમાં પોતાના ઘરે ગયા હતા. આ ત્રણેય ખેલાડીઓ મુંબઈમાં રહે છે. તેથી, તેઓએ હૉટેલને બદલે ઘરે જવાનું પસંદ કર્યું. પરંતુ હવે ઇન્ડિયન ક્રિકેટ ટીમના ચાહકોએ તેમના ઘરે જવા સામે વાંધો ઉઠાવ્યો છે.
સેમિફાઇનલ મૅચ ઇંગ્લૅન્ડની દિગ્ગજ ટીમ સામે રમાઈ રહી છે. આવી સ્થિતિમાં, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે ટીમ ઇન્ડિયા કેમ છોડી ગયા? જો તેમનું ઘર મુંબઈમાં હોય તો પણ તેઓ અન્ય ખેલાડીઓ સાથે હૉટેલમાં રહી શક્યા હોત. BCCI એ આખરે આ ત્રણને કેમ મંજૂરી આપી? ક્રિકેટ ચાહકો આવા પ્રશ્નો પૂછી રહ્યા છે. જો સેમિફાઇનલનું ગણિત ખોટું થશે તો આ મામલો સામે આવશે. કારણ કે ભારતીય ટીમ ટાઇટલ જીતવાથી માત્ર 2 જીત દૂર છે. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયાને સાથે રહેવાની જરૂર છે. ખેલાડીઓનું મનોબળ વધારવું જરૂરી છે. સૂર્યકુમાર યાદવ કૅપ્ટન છે. તેથી, તેમની જવાબદારી વધુ વધી જાય છે.
સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા અનુભવી ખેલાડીઓ છે. બન્નેએ T20 વર્લ્ડ કપમાં કેટલીક મૅચ જીતી છે. પરંતુ તેમનું પ્રદર્શન સાતત્યપૂર્ણ નથી. હાર્દિક પંડ્યા બૉલર તરીકે ખૂબ વધુ રન આપી રહ્યો છે, આ સાથે તેની ઓવરમાં જ સૌથી વધુ છગ્ગા પણ ફટકારવામાં આવ્યા છે. બીજી તરફ, સૂર્યકુમાર યાદવ પણ ખાસ સારું પ્રદર્શન કરી શક્યો નથી. તેણે અમેરિકા સામે અણનમ 84 રન બનાવ્યા. તે પછી, તેણે એક પણ અડધી સદી ફટકારી નથી. તેણે ત્રણ વખત 30 થી વધુ રન બનાવ્યા. જેથી આ મુદ્દે હવે વિવાદ શરૂ થયો છે, જોકે ખેલાડીઓ અથવા BCCI તરફથી કોઈપણ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
ટી20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલ ૪ માર્ચથી શરૂ થશે. પહેલી સેમિફાઇનલ ૪ માર્ચે કોલકાતા માં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલૅન્ડ વચ્ચે રમાશે. બીજી સેમિફાઇનલ ૫ માર્ચે મુંબઈમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ સેમિફાઇનલ અને ફાઇનલ બંને માટે રિઝર્વ ડે નક્કી કર્યો છે. જો વરસાદ સેમિફાઇનલમાં વિક્ષેપ પાડે અને મેચ રમી ન શકાય, તો રિઝર્વ ડે પર મૅચ ફરીથી રમાશે.