05 March, 2026 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાંજે ભારતીય કોચ ફૅમિલી સાથે દર્શન કરવા પહોંચ્યા
ભારતીય ટીમનું બપોરનું પ્રૅક્ટિસ-સેશન પૂરું કરીને ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર અને બૅટિંગ કોચ સિતાંશુ કોટક પણ સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. બન્ને કોચ પોતાની ફૅમિલીના સભ્યો સાથે ભગવાન ગણપતિનાં શરણમાં પહોંચ્યા હતા. ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારત અજેય રહીને ચૅમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ જીતી ચૂક્યું છે.
ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોએ વાનખેડે સ્ટેડિયમ ખાતે ગુરુવારે ઇંગ્લૅન્ડ સામે રમાનારી T20 વર્લ્ડ કપ 2026 સેમી-ફાઇનલ મૅચ પહેલાં શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની મુલાકાત લીધી અને દર્શન કર્યાં હતાં. અક્ષર પટેલ, ઈશાન કિશન અને અભિષેક શર્માએ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીય ટીમના દમદાર પ્રદર્શન માટે સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રાર્થના કરી હતી. ઓપનર અભિષેક શર્માએ મૂષકરાજના કાનમાં પોતાના શાનદાર કમબૅકની મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરી હતી. T20 વર્લ્ડ કપની શરૂઆતમાં જ ઝીરોની હૅટ-ટ્રિક કર્યા બાદ તે ૧૫ રન, પંચાવન રન અને ૧૦ રનની જ ઇનિંગ્સ રમી શક્યો છે. સોશ્યલ મીડિયા પર એવા પણ દાવા થઈ રહ્યા છે કે સેમી-ફાઇનલ મૅચમાં તે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઈ શકે છે અથવા ઓપનિંગ પોઝિશન ગુમાવી શકે છે.