24 July, 2025 02:31 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
જીવલેણ હુમલો, જીવ ગુમાવનાર મનોજ
૧૦ વર્ષ પહેલાં મમ્મીને થપ્પડ મારનારા અને ત્રાસ આપનારા નારિયેળ-પાણી વેચનારાની ૨૧ વર્ષના સોનુ કશ્યપે તેના ૪ મિત્રોની મદદથી હત્યા કરી હતી. હત્યા બાદ એની ઉજવણીમાં શરાબની પાર્ટી કરવામાં આવી હતી અને આ પાર્ટીના ફોટોગ્રાફ સોશ્યલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા બાદ પોલીસને એની જાણકારી થઈ હતી અને પાંચેય ગુનેગારો ઝડપાઈ ગયા હતા.
૨૦૧૫માં સોનુની મમ્મીને મનોજ નામના યુવાને થપ્પડ મારી હતી અને એને કારણે સોનુની મમ્મીએ પાછળથી યાદશક્તિ ગુમાવી દીધી હતી. મમ્મી પર કરવામાં આવેલા આ અત્યાચાર વખતે સોનુ ૧૧ વર્ષનો હતો અને ત્યારે જ તેણે નક્કી કરી લીધું હતું કે તે આનો બદલો લેશે.
મનોજને શોધવા માટે સોનુ ૧૦ વર્ષ સુધી લખનઉના રસ્તાઓ પર ફરતો રહ્યો હતો. આશરે ૩ મહિના પહેલાં જ તેને મનોજ જોવા મળ્યો હતો. તે મુનશી પુલિયા વિસ્તારમાં નારિયેળ વેચવાની દુકાન ધરાવતો હતો.
૩૨ વર્ષના મનોજની હત્યા કરવા માટે સોનુ કશ્યપે તેના ચાર મિત્રોને આ પ્લાનમાં સામેલ કર્યા હતા અને હત્યા બાદ શરાબની પાર્ટી આપીશ એવું વચન આપ્યું હતું.