17 February, 2024 12:55 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
તેજસ્વી યાદવ
બિહારના પૂર્વ ઉપ મુખ્ય પ્રધાન અને આરજેડી નેતા તેજસ્વી યાદવે ભારત જોડો ન્યાય યાત્રાને સંબોધિત કરતાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે. તેજસ્વી યાદવે ત્યારે નીતીશ કુમારની કસમવાળી વાત પણ યાદ કરાવી. તેમણે કહ્યું કે ગયા વખતે હું નીતીશકુમારની વાતોમાં આવી ગયો હતો. હવે કોઈ પણ હાલતમાં બિહાર અને કેન્દ્રમાંથી એનડીએની સરકારને હટાવવાની છે. તેજસ્વી યાદવે આક્રમક અંદાજમાં કહ્યું કે મુખ્ય પ્રધાન નીતિશ કુમાર કોઈની પણ વાત સાંભળવા માગતા નથી. તમે લોકો સારી રીતે જાણો છો કે આપણા મુખ્ય પ્રધાન કેવા છે, તેઓ કોઈની પણ વાત સાંભળવા માગતા નથી. તેઓ કહેતા હતા કે હું મરી જઈશ પણ બીજેપીમાં સામેલ નહીં થાઉં. અને અમે નક્કી કર્યું હતું કે અમે નીતીશકુમારની સાથે રહીશું, ભલે ગમે તે થઈ જાય. પણ દગો મળ્યો.
તેજસ્વીએ જણાવ્યું કે નીતીશ જ્યારે પહેલાં એનડીએમાં હતા ત્યારે લાલુ યાદવ અને રાબડી દેવી પાસે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બીજેપી તેમના (જેડીયુના) ધારાસભ્ય તોડી રહી છે. એટલે આરજેડી સાથે મળીને સરકાર બનાવીશું. ત્યારે મેં નીતીશકુમારને પૂછ્યું હતું કે શું ગૅરન્ટી છે કે તેઓ પલટી નહીં મારે. પછી મહાગઠબંધન સરકાર બનાવી હતી.