Tamil Nadu CM: મુખ્યમંત્રી બનતાં જ વિજય થલાપતિએ કરી દીધી આ જાહેરાતો...

10 May, 2026 03:02 PM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Online Correspondent

Tamil Nadu CM: મુખ્યમંત્રી તરીકે થલપતિ વિજયે આજે ચેન્નાઈના જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શપથ લીધા હતા.  વિજયે શપથ લેતાં જ મોટી અને અગત્યની જાહેરાતો કરતાં જ લોકોનું ધ્યાન ખેંચ્યું છે

શપથગ્રહણ સમારોહ દરમિયાન તમિલનાડુના મુખ્યમંત્રી વિજય સાથે લોકસભાના ધારાસભ્ય રાહુલ ગાંધી. (તસવીર: પીટીઆઈ)

Tamil Nadu CM: તમિલનાડુમાં ટીવીકેના ચીફ વિજયે મુખ્યમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કર્યા છે, આ સાથે જ હવે રાજ્યના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. મુખ્યમંત્રી તરીકે થલપતિ વિજયે આજે ચેન્નાઈના જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શપથ લીધા હતા.  વિજયે શપથ લેતાં જ મોટી અને અગત્યની જાહેરાતો કરતાં જ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સૌથી પહેલાં તો તેઓએ ૨૦૦ યુનિટ વીજ મફતમાં આપવાની અને મહિલાઓ માટે સુરક્ષા માટે વિશેષ બળ ઊભું કરવાની જાહેરાત કરી છે, આ જનહિત માટેના મહત્વના નિર્ણયોની સાથે જ જાણે વિજયની સરકાર એક્શન મોડમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

ચાર દિવસ રાજકીય સંઘર્ષ બાદ અભિનેતા નાને તમિલગા વેટ્ટરી કઝગમ (ટીવીકે)ના ચીફ સી. જોસેફ વિજયે (Tamil Nadu CM) રવિવાર 10 મેના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે જ રાજ્યમાં એક ઐતિહાસિક રાજકીય પરિવર્તન આવી ગયું છે. જેમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) અને અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆઈએડીએમકે) દ્વારા લગભગ છ દાયકાના વારાફરતી શાસનનો અંત આવ્યો છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે ચેન્નઈના જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય સમારોહમાં વિજયને મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. વિજયની સાથે નવા મંત્રીમંડળમાં તેમની સાથે નવ મંત્રીઓએ પણ શપથ લીધા છે. 

વિજયે તેના ભાષણમાં શું કહ્યું?

મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ થલપતિ વિજયે (Tamil Nadu CM) આજે પોતાનું પ્રથમ ભાષણ આપ્યું અને તેના જણાવ્યું હતું કે તેઓ કોઈ રાજવી પરિવાર કે રાજઘરાનામાંથી નથી આવતા, છતાં લોકોએ તેમને સ્વીકાર્યા છે. માટે જ પોતાના કર્તવ્યને સ્વીકારતા તેઓએ કહ્યું હતું કે તેઓ પણ ખોટા વચનો આપીને જનતાને ભરમાવશે નહીં. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે એક નવી શાસનવ્યવસ્થા અને ખરી તેમજ  બિનસાંપ્રદાયિક અને સામાજિક ન્યાયના યુગનો હવે પ્રારંભ થયો છે. સરકારમાં તેમના સિવાય બીજું કોઈ `પાવર સેન્ટર` નહીં હોય. આ સાથે જ વિજયે ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની અને જનતાના એક પણ પૈસાનો દુરુપયોગ ન થવા દેવાનું વચન પણ આપ્યું હતું.

વિજયના શપથપત્ર પર શું બોલ્યા રાહુલ ગાંધી?

વિજયના શપથ ગ્રહણ કાર્યક્રમમાં (Tamil Nadu CM) રાહુલ ગાંધી પણ જોવા મળ્યા હતા. તેઓએ વિજયને અભિનંદન આપતા તેમણે કહ્યું હતું કે રાજ્યએ નવી પેઢી, નવો અવાજ અને નવી વિચારધારા પર પસંદગીની મહોર મારી છે. વિજયને મારી શુભેચ્છાઓ છે, અને આશા છે કે તેઓ તમિલનાડુના લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશે. રાહુલ ગાંધીની સાથે જ ફિલ્મ હસ્તીઓ, પક્ષના કાર્યકરો અને હજારો સમર્થકો પણ જોવા મળ્યા હતા. માહિતી મળી રહી છે કે ચેન્નઈ શહેર પોલીસે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરી હતી, વાહનોની તપાસ વધારી હતી અને સમારોહ પહેલા સ્ટેડિયમની આસપાસ પ્રવેશ નિયંત્રણના કડક પગલાં લાદ્યા હતા.

national news india tamil nadu rahul gandhi vijay political news indian politics