10 March, 2026 10:56 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પાર્લમેન્ટના બજેટ-સેશનમાં બોલતા એસ. જયશંકર
સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના પહેલા દિવસે ગઈ કાલે લોકસભામાં વિપક્ષોએ અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ પર હોબાળો મચાવ્યો હતો. વેસ્ટ એશિયામાં યુદ્ધ પછીની પરિસ્થિતિની ભારત પર શું અસર પડી એ વિશે ચર્ચાની માગણી વિપક્ષે ચાલુ રાખી હતી.
સરકારે જણાવ્યું હતું કે વિપક્ષ સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે, અમે એની ચર્ચા કરવા તૈયાર છીએ; પરંતુ વિપક્ષ બીજો પ્રસ્તાવ લાવ્યો છે જેનો વિદેશ પ્રધાન એસ. જયશંકરે ખૂબ જ સારો પ્રતિભાવ આપ્યો હતી. આ પછી ગૃહ આજે સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું.
વિદેશપ્રધાને પહેલાં રાજ્યસભામાં અને પછી લોકસભામાં ખાડી દેશોમાંથી ભારતીયોને પાછા લાવવાની તૈયારીઓ અને ઊર્જા-સંકટ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘આ સમયે ઈરાની નેતૃત્વ સાથે સંપર્ક કરવો મુશ્કેલ છે, પરંતુ ભારત શાંતિ અને વાતચીતના પક્ષમાં છે. વેસ્ટ એશિયામાંથી આપણા લોકોને પાછા લાવવા માટે તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. ૮ માર્ચ સુધીમાં આપણા આશરે ૬૭,૦૦૦ નાગરિકો આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ચૂક્યા છે.’
જ્યારે જયશંકર રાજ્યસભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે વિપક્ષ રાજ્યસભામાંથી વૉકઆઉટ કરી ગયો હતો. લોકસભામાં તેમના ભાષણ દરમ્યાન વિપક્ષે ‘અમે ચર્ચા ઇચ્છીએ છીએ’ના નારા લગાવ્યા અને ઘણો હંગામો કર્યો હતો. અધ્યક્ષના વારંવાર બોલવા છતાં વિપક્ષી સંસદસભ્યો શાંત થયા નહોતા.