01 September, 2026 01:37 PM IST | Panaji | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મંગળવારે સવારે દિલ્હી (Dlehi) જતી ઇન્ડિગો (IndiGo) ફ્લાઇટને ઉડાન ભર્યાના થોડા સમય પછી ગોવા (Goa) પરત ફરવાની ફરજ પડી હતી કારણ કે ક્રૂને હવામાં ટેકનિકલ સમસ્યા જણાઈ હતી. એરપોર્ટ અધિકારીઓએ ઇમરજન્સી પ્રોટોકોલ સક્રિય કર્યા પછી, ૨૨૯ મુસાફરોને લઈને વિમાન મોપા (Mopa)ના મનોહર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Manohar International Airport) પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું.
ઉત્તર ગોવાના મોપા સ્થિત મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટનું મંગળવાર, ૧ સપ્ટેમ્બરના રોજ સવારે ઈમરજન્સી લેન્ડિંગ (IndiGo Goa Delhi flight emergency landing) કરાવવું પડ્યું હતું. ટેક-ઓફ કર્યાના થોડા જ સમયમાં વિમાનના એક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતાં ૨૨૯ મુસાફરો સાથે વિમાનને પરત ગોવા વાળવામાં આવ્યું હતું. રનવે પર સકુશળ ઉતરાણ થતાં તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોનો આબાદ બચાવ થયો છે.
ઇન્ડિગોની ફ્લાઈટ 6E 2102 એ સવારે આશરે ૯:૧૬ વાગ્યે મોપા એરપોર્ટ પરથી દિલ્હી જવા માટે ટેક-ઓફ કર્યું હતું. વિમાન જ્યારે દક્ષિણ મહારાષ્ટ્ર (Maharashtra)ના દરિયાકાંઠા પર આશરે ૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈ પર હતું, ત્યારે પાઇલટ્સને એક એન્જિનમાં ખામી હોવાની જાણ થઈ હતી.
પાઇલટ્સે તુરંત એર ટ્રાફિક કંટ્રોલ (Air Traffic Control)નો સંપર્ક કરીને વિમાનને ઉત્તર ગોવા તરફ વાળ્યું હતું. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોપા એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફે સવારે ૯:૩૦ વાગ્યે એરપોર્ટ પર `ફૂલ ઈમરજન્સી` જાહેર કરી દીધી હતી અને ઈમરજન્સી સેવાઓને એલર્ટ કરી હતી.
સવારે ૯:૫૧ વાગ્યે વિમાને મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે નંબર ૨૮ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. ત્યારબાદ વિમાનને સ્ટેન્ડ ૬ પર લાવવામાં આવ્યું હતું, જ્યાંથી તમામ ૨૨૯ મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. વિમાન હેમખેમ પાર્ક થઈ ગયા બાદ સવારે ૧૦:૦૩ વાગ્યે એરપોર્ટ સત્તાવાળાઓએ ફૂલ ઈમરજન્સી હટાવી લીધી હતી.
ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘ગોવાથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટ 6E 2102 માં ટેક-ઓફના થોડા સમય બાદ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. નિર્ધારિત એસઓપી (SOP) નું પાલન કરીને સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને પાઇલટે વિમાનનું ગોવા એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.’
ઈમરજન્સી લેન્ડિંગ બાદ વિમાનને ગ્રાઉન્ડ કરીને ટેકનિકલ તપાસ હેઠળ મૂકવામાં આવ્યું છે. ઇન્ડિગોએ સ્પષ્ટ કર્યું છે કે, જરૂરી સુરક્ષા અને રેગ્યુલેટરી મંજૂરી મળ્યા બાદ જ વિમાન ફરી સેવામાં કાર્યરત થશે.
એરપોર્ટ પર અટવાયેલા મુસાફરો માટે એરલાઇન્સ દ્વારા નાસ્તા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. કંપનીના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે મુસાફરોને દિલ્હી પહોંચાડવા માટે બપોર પછી અન્ય વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે.