05 May, 2026 07:05 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીની વિજયસભામાં બંગાળી પોશાકમાં નરેન્દ્ર મોદી.
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ૧૫ વર્ષથી સત્તામાં રહેલાં મમતા બૅનરજીની તૃણમૂલ કૉન્ગ્રેસને ધોબીપછાડ આપીને બેતૃતીયાંશથી પણ વધારે બેઠકો પર જીત મેળવી છે. છેલ્લા પરિણામ મુજબ પશ્ચિમ બંગાળની ૨૯૪ બેઠકમાંથી BJPને ૨૦૬ બેઠકો પર વિજય મળ્યો છે. બીજી તરફ તૃણમૂલ કૉન્ગ્રેસને ૭૯ બેઠકો પર વિજય મળ્યો છે અને બે બેઠકો પર એ આગળ છે. આમ એ ૮૧ બેઠકો સુધી સમેટાઈ ગઈ છે. કૉન્ગ્રેસે બે બેઠકો પર જીત મેળવી છે.
મુખ્ય પ્રધાન મમતા બૅનરજી પણ તેમની બેઠક હારી ગયાં છે. સુવેન્દુ અધિકારીએ ભવાનીપુરમાં મમતા બૅનરજીને ૧૫,૧૧૪ મતથી હરાવ્યાં છે. સુવેન્દુ સામે આ તેમનો સતત બીજો પરાજય છે. સુવેન્દુએ અગાઉ ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામમાં મમતા બૅનરજી સામે જીત મેળવી હતી.
આર. જી. કાર હૉસ્પિટલની બળાત્કાર પીડિતાનાં મમ્મી રત્ના દેબનાથ પાનિહાટી મતવિસ્તારમાં લગભગ ૨૮,૮૩૬ મતથી વિજયી બન્યાં છે. તેમને ૮૭,૯૭૭ મત મળ્યા હતા, જ્યારે તૃણમૂલ કૉન્ગ્રેસના તીર્થંકર ઘોષને ૫૯,૧૪૧ મળ્યા હતા.
બાબરી મસ્જિદનું નિર્માણ કરી રહેલા આમ જનતા ઉન્નયન પાર્ટીના નેતા હુમાયુ કબીરે પોતાની બન્ને બેઠકો જીતી લીધી છે. કબીર રેજીનગર અને નાઓડાથી ચૂંટણી લડ્યા હતા.
પશ્ચિમ બંગાળ પાર્ટીવાઇઝ બેઠકોની સ્થિતિ
પાર્ટીનું નામ કુલ બેઠકો પર જીત
BJP ૨૦૬
તૃણમૂલ કૉન્ગ્રેસ ૭૭
કૉન્ગ્રેસ ૨
આમ જનતા ઉન્નયન પાર્ટી ૨
કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી) ૧
ઑલ ઇન્ડિયા સેક્યુલર ફ્રન્ટ ૧
(૪ બેઠકો પર TMCની લીડ, પરિણામ જાહેર થવાનું બાકી)
નરેન્દ્ર મોદીએ જ્યાં ઝાલમુરી ખાધી હતી એ TMCના ગઢમાં પણ BJPનો ઐતિહાસિક વિજય
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં BJPની ક્લીન સ્વિપ વચ્ચે સૌથી વધુ ચર્ચામાં રહી હતી ઝારગ્રામની બેઠક. આ બેઠકને ઝાલમુરીવાળી બેઠક તરીકે લોકો ઓળખવા લાગ્યા છે, કેમ કે અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાલમુરી ખાધી હતી. ઝારગ્રામ પરંપરાગત રીતે TMC અને ડાબેરીઓનો મજબૂત ગઢ ગણાતો હતો. અહીં તૃણમૂલ કૉન્ગ્રેસના ઉમેદવાર મોંગલ સોરેનને પછડાટ મળી હતી. ૧૯ એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ૧૦ રૂપિયાની ઝાલમુરી ખરીદીને ખાધી હતી. આ બેઠક પરથી BJPના લક્ષ્મી કાન્તને ૩૮,૧૪૭ મતના માર્જિનથી ઐતિહાસિક જીત મળી હતી. આ જીતથી BJPના કાર્યકર્તાઓમાં જબરદસ્ત ઉત્સાહ છવાયો હતો, કેમ કે TMCનો અભેદ્ય કિલ્લો અહીં ધ્વસ્ત થયો હતો.