20 May, 2026 08:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નળમાં પાણી નહોતું આવતું એટલે મુંડન સમયે પાણીની બૉટલથી વિધિ પૂરી કરવામાં આવી હતી.
પનવેલમાં ચાલી રહેલી તીવ્ર પાણીની તંગીની ઝાળ હવે સ્મશાનભૂમિ સુધી પહોંચી ગઈ છે. સોમવારે સવારે અમરધામ સ્મશાનભૂમિમાં પાણી ઉપલબ્ધ ન હોવાને કારણે મૃત્યુ પામેલી વ્યક્તિનાં સગાંસંબંધીઓએ અંતિમ સંસ્કાર અને એની સાથે જોડાયેલી જરૂરી ધાર્મિક વિધિ કરવા માટે પાણીની બૉટલો ખરીદવી પડી હતી.
ઘટનાની વિગત મુજબ સોમવારે સવારે નવથી સાડાનવ વાગ્યાની આસપાસ પનવેલની અમરધામ સ્મશાનભૂમિમાં બે અલગ-અલગ અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા. સ્મશાનભૂમિના નળમાં પાણી જ ન આવતાં પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. અંતિમ સંસ્કાર બાદ મુંડન કરાવેલા માથા પર પાણી નાખવા જેવી આવશ્યક વિધિ માટે પણ પાણી ન હોવાથી સંબંધીઓએ દોડધામ કરીને બહારથી પાણીની બૉટલો મગાવીને વિધિ પૂરી કરી હતી. સ્મશાનભૂમિના કર્મચારીઓના જણાવ્યા મુજબ રવિવારે પાંચ અંતિમ સંસ્કાર થવાને કારણે ૫૦૦ લીટરની નાની ટાંકી ખાલી થઈ ગઈ હતી અને એની જાણ સમયસર પાણીપુરવઠા વિભાગને કરવામાં આવી નહોતી. વિડિયો વાઇરલ થયા બાદ સુધરાઈએ તાત્કાલિક પાણીનું ટૅન્કર મોકલ્યું હતું, પણ ત્યાં સુધીમાં બન્ને અંતિમ સંસ્કાર પૂરા થઈ ચૂક્યા હતા.