૧૨,૨૦૦ કરોડ રૂપિયાના રિંગ મેટ્રો પ્રોજેક્ટ સામે થાણેવાસીઓએ નોંધાવ્યો વિરોધ

01 June, 2026 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પબ્લિકના પૈસાનો ધુમાડો થશે, ટેન્ડરની અને વૃક્ષો કાપવાની પ્રક્રિયા બંધ કરવાની થાણેવાસીઓની માગણી

પ્રતીકાત્મક તસવીર

૧૨,૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે થાણેમાં શરૂ થયેલા ઇન્ટિગ્રેટેડ રિંગ મેટ્રો પ્રોજેક્ટ સામે થાણેવાસીઓ ઉપરાંત અર્બન ટ્રાન્સપોર્ટના નિષ્ણાતોએ વિરોધ કર્યો છે અને આ પ્રોજેક્ટ શરૂ કરીને લોકોના પૈસાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે એમ કહીને નારાજગી વ્યક્ત કરી છે. આ પ્રોજેક્ટના પ્લાનિંગમાં ખામી છે અને પર્યાવરણને પણ એને કારણે મોટું નુકસાન થશે એવું તેમનું કહેવું છે. આ પ્રોજેક્ટ માટે શરૂ કરાયેલી ટેન્ડર મગાવવાની અને વૃક્ષો કાપવાની પ્રક્રિયા બંધ કરવામાં આવે એવી થાણેવાસીઓની માગણી છે.

આ પ્રોજેક્ટ બંધ કરવો જોઈએ એવી માગણી સાથે છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) અને થાણેના ‘સિટિઝન્સ ફૉર સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ’ અને થાણે ગ્રીન કલેક્ટિવે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવેલા રૂટ સામે તેમણે વાંધો દાખવીને એ અત્યંત ગીચ રેસિડેન્શિયલ વિસ્તારોમાંથી પસાર થતો હોવાની વાત પણ કહી હતી.

પ્રોજેક્ટ માટે ૬૬૨ના સ્થાને ૩૨૨૪ વૃક્ષો કપાશે?

ડીટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR)માં ૬૬૨ વૃક્ષોને કાપવામાં આવશે એમ જણાવાયું છે, જ્યારે મ્યુનિસિપલ કૉર્પોરેશને કાપવા માટે ૩૨૨૪ વૃક્ષો ચિહનિત કર્યાં છે એવો આરોપ કાર્યકરોનો છે. ૨૯ કિલોમીટરના આ પ્રોજેક્ટનો DPR લોકોના અભિપ્રાયો લેવા માટે બહાર પાડવામાં આવે એવી માગણી પ્રોજેક્ટનો વિરોધ કરનારાઓની છે. તેમનું કહેવું છે કે મેટ્રો 4 અને મેટ્રો 5 જે રૂટને કનેક્ટ કરે છે એવા ૩ વિસ્તારોને કનેક્ટ કરવાની વાત આ પ્રોજેક્ટમાં છે જેની જરૂર નથી. ખરેખર જે વિસ્તારોને જોડવાની જરૂર છે એ તો પ્રોજેક્ટમાં સામેલ જ નથી કરવામાં આવ્યા એમ પ્રોજેક્ટનો વિરોધ કરનારા રહેવાસીઓએ જણાવ્યું હતું. 

મોનોરેલની સર્વિસ રી-સ્ટાર્ટ કરવાની તૈયારી પુરજોશમાં 

ચેમ્બુરથી સંત ગાડગે મહારાજ ચોક વચ્ચે ચાલતી મોનોરેલની સર્વિસ ફરી શરૂ કરવાની તૈયારીરૂપે એ કૉરિડોર પર ટ્રાયલ રન ચાલે છે. આ દરમ્યાન નવા ‘મેડ ઇન ઇન્ડિયા’  રૅક્સ અપગ્રેડ થયેલી કમ્યુનિકેશન્સ-બેઝ્ડ ટ્રેન કન્ટ્રોલ (CBTC) સિગ્નલિંગ સિસ્ટમનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવશે. આ સર્વિસ છેલ્લા ૮ મહિનાથી બંધ છે અને હવે જૂન મહિનામાં ફરીથી એ ફરી શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. તસવીર : શાદાબ ખાન

કુર્લાના બ્રિજ પર ટ્રેલર અને બસનો અકસ્માત

રવિવારે વહેલી સવારે છ વાગ્યે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રેલર અને પ્રાઇવેટ બસનો અકસ્માત થયો હતો, જેને કારણે સવારના સમયે થોડા કલાકો માટે બ્રિજ પરનો એક બાજુનો ટ્રાફિક રોકી દેવાયો હતો. પોલીસે જણાવ્યા અનુસાર ટ્રેલરના ડ્રાઇવરે વાહન પરથી કાબૂ ગુમાવતાં આ દુર્ઘટના બની હતી. જોકે સદ્ભાગ્યે અકસ્માત થયો ત્યારે બસ એક બાજુએ પાર્ક કરેલી હતી અને એમાં કોઈ પ્રવાસી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેલરના ડ્રાઇવરને પણ આ ઘટનામાં ગંભીર ઈજા થઈ ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

mumbai news mumbai thane chhatrapati shivaji maharaj terminus csmt mumbai metro mumbai transport