05 May, 2026 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
થાણે (Thane)માં વીજ કરંટ લાગવાથી છ વર્ષના બાળકનું મૃત્યુ થયું છે, જેના કારણે સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો છે અને વીજ વિભાગની બેદરકારી પર પ્રશ્નો કર્યા છે.
મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણેમાં વાગલે એસ્ટેટ (Wagle Estate)ના ઇન્દિરા નગર (Indira Nagar) વિસ્તારમાં એક છ વર્ષના બાળકનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે (Thane electrocution case) સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને તેઓએ વીજ વિભાગની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે બાળક તેના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે તે એક ચાલ નજીક આવેલા ખુલ્લા વીજ વાયરોના સંપર્કમાં આવ્યો હતો. તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ કેબલ્સ રાજ્ય સરકાર સંચાલિત વીજ વિતરણ કંપની મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (Maharashtra State Electricity Distribution Company Limited) સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા.
આ ઘટના (Thane electrocution case) બાદ રોષે ભરાયેલા રહેવાસીઓ અડધી રાત્રે શ્રીનગર પોલીસ સ્ટેશન (Srinagar Police Station)ની બહાર એકઠા થયા હતા અને બાળકના મોત માટે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા.
સ્થાનિકોએ દાવો કર્યો હતો કે, જોખમી રીતે ખુલ્લા પડેલા વાયરો અંગે મહાવિતરણના અધિકારીઓને વારંવાર લેખિત ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ તેને સુધારવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.
આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક જનપ્રતિનિધિ એકનાથ ભોઈર (Eknath Bhoir) પણ જોડાયા હતા, જેમણે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની રહીશોની માંગને ટેકો આપ્યો હતો.
દેખાવકારોએ આ જીવલેણ અકસ્માત માટે જવાબદાર બેદરકારી બદલ સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધ (culpable homicide) નો ગુનો નોંધવાની માંગ કરી હતી.
આ કરૂણાંતિકાએ ગીચ વસ્તી ધરાવતા શહેરી વિસ્તારોમાં, ખાસ કરીને ઝૂંપડપટ્ટી અને અનધિકૃત વસાહતોમાં વીજ સુરક્ષા અંગેની ચિંતાઓને ફરી એકવાર સપાટી પર લાવી દીધી છે, જ્યાં ખુલ્લા વાયરો અને ગેરકાયદેસર કનેક્શન્સ સામાન્ય બાબત બની ગઈ છે.
અગાઉ માર્ચ મહિનામાં, પુણે (Pune)ની એગ્રીકલ્ચર કોલેજ (College of Agriculture)માં એમબીએ (MBA)ના ૨૩ વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. અહેવાલો મુજબ, મૃતક વિદ્યાર્થી ચૈતન્ય ચવ્હાણ (Chaitanya Chavan)ને કેમ્પસમાં વોટર ફિલ્ટરનો ઉપયોગ કરતી વખતે જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનાએ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જગાડ્યો હતો અને શૈક્ષણિક સંસ્થાઓમાં જાળવણી તેમજ સુરક્ષાના ધોરણો અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા.