14 September, 2026 08:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ ઠાકરેના ઘરે ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે પહોંચ્યા
ગણેશ ચતુર્થીના અવસરે, સોમવારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેએ તેમના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેના દાદર સ્થિત નિવાસસ્થાન `શિવતીર્થ`ની મુલાકાત લીધી હતી. તેમની સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને પત્ની રશ્મિ ઠાકરે પણ હતા. ઠાકરે પરિવારે ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરી અને `બાપ્પા`ના આશીર્વાદ મેળવ્યા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર શૅર કરવામાં આવેલા વીડિયો અને તસવીરોમાં ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને રશ્મિ ઠાકરે ગણપતિની પૂજા કરતા જોવા મળ્યા હતા. મુલાકાત દરમિયાન બન્ને ઠાકરે પરિવારોના સભ્યો એકસાથે જોવા મળ્યા હતા અને પરિવારે તસવીરો પણ ક્લિક કરાવી હતી. એવું જાણવા મળ્યું છે કે રાજ ઠાકરેના ઘરે સ્થાપિત ગણપતિની મૂર્તિ ચાંદીની બનેલી છે. પંડાલમાં પર્યાવરણ-અન્યુકૂળ સજાવટ કરવામાં આવી હતી અને તેમાં ફૂલોનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ગણેશ ચતુર્થીના અવસરે, ઠાકરે પરિવારે મુંબઈના કેટલાક પ્રખ્યાત ગણપતિ પંડાલોની પણ મુલાકાત લીધી હતી. ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને રશ્મિ ઠાકરે `લાલબાગચા રાજા` ખાતે આશીર્વાદ લેવા ગયા હતા. `X` પરની એક પોસ્ટમાં આદિત્ય ઠાકરેએ લખ્યું, "અત્યંત શ્રદ્ધા સાથે, હું - અમારા નેતા માનનીય શ્રી ઉદ્ધવસાહેબ ઠાકરે અને મારી માતા શ્રીમતી રશ્મિ ઠાકરે સાથે - લાખો ભક્તોની આસ્થાનું પ્રતીક એવા પવિત્ર સ્થળ `લાલબાગચા રાજા` ખાતે પૂજા-અર્ચના કરી. વિઘ્નહર્તા લાલબાગચા રાજાની કૃપાદ્રષ્ટિ આપણા સૌ પર હંમેશા બની રહે!" અહેવાલો અનુસાર, પરિવારે ગણેશ ચતુર્થીના દિવસે `ગણેશ ગલી` ખાતે પણ પૂજા કરી હતી. પરિવાર દ્વારા પરેલ સ્થિત ઐતિહાસિક `મુંબઈચા રાજા`ની મુલાકાત લેવાની અને આશીર્વાદ મેળવવાની પણ અપેક્ષા છે, જે આ વર્ષે પોતાનું 99 મું વર્ષ ઉજવી રહ્યું છે.
ગણેશ ચતુર્થીના દિવસે આખા મુંબઈમાં ઘરો, હાઉસિંગ સોસાયટીઓ અને જાહેર પંડાલોમાં ભગવાન ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. શહેરના ઘણા ગણપતિ મંડળોએ તેમના પંડાલોને સજાવ્યા છે અને પ્રખ્યાત પંડાલોમાં આશીર્વાદ મેળવવા માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લાલબાગચા રાજાના દર્શન માટે પણ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે; તેઓ દર્શન કરવા અને પૂજા-અર્ચના કરવા માટે લાઈનોમાં ઊભેલા જોવા મળ્યા હતા. ગણેશોત્સવ દરમિયાન શહેરના મુખ્ય પંડાલોમાં ભીડ વધવાની શક્યતા છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુ અંગે FIR દાખલ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એજન્સીએ આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરી દીધી છે. અહેવાલો સૂચવે છે કે FIRમાં ગૅન્ગરેપ અને હત્યા સહિતના અનેક ગંભીર આરોપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલો મુજબ, FIRમાં શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે સહિત અનેક વ્યક્તિઓના નામ સામેલ છે. જોકે, FIRમાં કોઈ વ્યક્તિનું નામ હોવાનો અર્થ એ નથી કે ગુનો સાબિત થઈ ગયો છે; આરોપોની પુષ્ટિ માત્ર CBIની તપાસ બાદ જ થઈ શકે છે.