મુંબઈ-પુણેનાં સંવેદનશીલ સ્થળોનું પાકિસ્તાનમાં લાઇવ પ્રસારણ થતું હતું

14 April, 2026 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ISI પ્રેરિત જાસૂસી મૉડ્યુલનો પર્દાફાશ: આરોપીએ એક બેકરીમાં સામાન્ય મજૂરીકામ કરવાની આડમાં મુંબઈનાં નેવી મથકો, ઍરપોર્ટ અને અન્ય વ્યૂહાત્મક સ્થળોનો અભ્યાસ કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય સુરક્ષામાં મોટું ગાબડું પાડતી ઘટના બની છે. ગાઝિયાબાદમાંથી ઝડપાયેલા પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ને સમર્થન આપતા જાસૂસી મૉડ્યુલના તાર મુંબઈ અને પુણે સાથે જોડાયા છે. આ આખા નેટવર્કનો માસ્ટરમાઇન્ડ સુહેલ મલિક મુંબઈ અને પુણેનાં અત્યંત સંવેદનશીલ સ્થળોએ ગુપ્ત કૅમેરા લગાવીને એનું લાઇવ ફીડ અને લોકેશન ડેટા પાકિસ્તાનના હૅન્ડલર્સને મોકલતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

તપાસ-એજન્સીઓએ જણાવ્યું હતું કે આરોપી સુહેલ મલિક મુંબઈમાં ૨૦૨૦થી ૨૦૨૫ સુધી એક બેકરીમાં સામાન્ય મજૂર હતો. આ તેની બનાવટી ઓળખ હતી અને એની આડમાં તેણે મુંબઈનાં નેવી મથકો, ઍરપોર્ટ અને અન્ય વ્યૂહાત્મક સ્થળોનો અભ્યાસ કર્યો હતો. તેણે સોલર પાવરથી ચાલતા અને સિમ કાર્ડ એનેબલ્ડ સ્ટૅન્ડઅલોન કૅમેરા ચોરીછૂપીથી લગાવ્યા હતા જેના દ્વારા રિયલ ટાઇમ વિડિયો-ફુટેજ સીધાં સરહદ પાર મોકલવામાં આવતાં હતાં.

ગાઝિયાબાદ પોલીસની કડીઓ મળતાં મહારાષ્ટ્ર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને અત્યાર સુધીમાં મહારાષ્ટ્રનાં પાંચ સંવેદનશીલ સ્થળોએથી આવાં ખતરનાક ઉપકરણ શોધીને હટાવ્યાં છે.

આરોપીને દરેક કૅમેરા ઇન્સ્ટૉલ કરવા માટે આઠથી ૧૦ હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા. 

મુખ્ય પ્રધાને સમગ્ર રાજ્યમાં CCTV સિસ્ટમનું ઑડિટ કરવાનો આદેશ આપ્યો

આ ઘટનાની ગંભીરતા જોતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર રાજ્યમાં CCTV સિસ્ટમનું ઑડિટ કરવાનો આદેશ આપ્યો છે. સુરક્ષાના કારણસર ચાઇનીઝ કંપનીઓનાં દેખરેખ સાધનોની ખરીદી પર રોક લગાવવામાં આવી છે. DGP સદાનંદ દાતેએ પણ તમામ પોલીસ-અધિકારીઓને સતર્ક રહેવા અને વર્તમાન CCTV નેટવર્કની ચકાસણી કરવાની સૂચના આપી છે.
રાજ્યનો ગૃહ વિભાગ હવે નવી CCTV પૉલિસી પર કામ કરી રહ્યો છે. આ નવી જોગવાઈ મુજબ BMC કે MMRDA જેવી સંસ્થાઓએ CCTV સિસ્ટમ લગાવતાં પહેલાં પોલીસની મંજૂરી લેવી પડશે. એ ઉપરાંત પ્રાઇવેટ હાઉસિંગ સોસાયટીઓએ પણ જરૂર પડે ત્યારે લાઇવ CCTV કૅમેરાનાં ફુટેજ પોલીસ સાથે શૅર કરવાં પડશે જેથી વિદેશી જાસૂસી જાળ અને ઘૂસણખોરીના પ્રયાસને નાબૂદ કરી શકાય.

mumbai news mumbai pune news pune maharashtra news maharashtra