રોહિત પવારનો દાવો : VSR એવિયેશનના માલિક દ્વારા બ્લૅક બૉક્સના ડેટાને એડિટ કરવાનો પ્રયાસ

14 March, 2026 01:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોહિત પવારે સોશ્યલ મીડિયા પર કરેલી પોસ્ટમાં આક્ષેપ કરતાં કહ્યું હતું

રોહિત પવાર

NCP(SP)ના વિધાનસભ્ય રોહિત પવારે શુક્રવારે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના મૃત્યુમાં સામેલ વિમાનનું સંચાલન કરનાર VSR એવિયેશનના માલિક વી. કે. સિંહ જેટના બ્લૅક બૉક્સ ડેટાને ઍડિટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રોહિત પવારે ચેતવણી આપી હતી કે વિમાન લિયરજેટ 45ના ફ્લાઇટ ડેટા રેકૉર્ડર (FDR) સાથે કોઈ પણ ચેડાં ફૉરેન્સિક ઑડિટ દરમ્યાન શોધી કાઢવામાં આવશે.

રોહિત પવારે સોશ્યલ મીડિયા પર કરેલી પોસ્ટમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે એવું સાંભળવામાં આવ્યું છે કે VSR કંપનીના માલિક અને ડેટા સાથે ચેડાં કરવામાં નિષ્ણાત વી. કે. સિંહ દુર્ઘટનામાં સામેલ વિમાનના FDR ડેટાને ઍડિટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સામાન્ય રીતે બ્લૅક બૉક્સ તરીકે ઓળખાતું ફ્લાઇટ ડેટા રેકૉર્ડર એક એવું ઉપકરણ છે જે વિમાનનાં વિવિધ પરિમાણો અને ઑપરેશનલ ડેટાને રેકૉર્ડ કરે છે જેનો ઉપયોગ અકસ્માતની તપાસમાં થઈ શકે છે.

VSR વેન્ચર્સ દ્વારા સંચાલિત લિયરજેટ 45 વિમાન ૨૮ જાન્યુઆરીએ પુણે જિલ્લામાં બારામતી હવાઈપટ્ટી નજીક ક્રૅશ થયું હતું, જેમાં અજિત પવાર અને અન્ય ૪ લોકોનાં મોત થયાં હતાં.

rohit pawar ajit pawar plane crash baramati nationalist congress party mumbai mumbai news maharashtra news