27 April, 2026 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધીરેન્દ્ર શાસ્ત્રી
છત્રપતિ શિવાજી મહારાજ પરની ટિપ્પણીને કારણે હોબાળો મચી જવાથી ભારે વિરોધ થતાં બાગેશ્વરધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રવિવારે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ પરની મારી ટિપ્પણી બદલ હું ખૂબ દિલગીર છું. જોકે તેમણે દાવો કર્યો હતો કે સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોએ કમેન્ટને તોડી-મરોડીને રજૂ કરી હતી.
નાગપુરમાં એક કાર્યક્રમમાં શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે શિવાજી મહારાજે યુદ્ધથી થાકી ગયા હોવાથી પોતાની જવાબદારીઓ છોડી દેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમના ‘ગુરુ’ સમર્થ રામદાસ પાસે તેમનો મુગટ લઈને ગયા હતા અને તેમને રાજ્ય સંભાળવા કહ્યું હતું. ત્યાર બાદ વિવાદ શરૂ થયો હતો.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે તેઓ શિવાજી મહારાજનો આદર કરતા નથી એવા આરોપથી દુખી છે. તેમણે ભાર મૂક્યો હતો કે ‘હિન્દુ રાષ્ટ્ર’ પરનો તેમનો ઠરાવ શિવાજી મહારાજના હિન્દવી સ્વરાજની વિચારસરણીથી પ્રેરિત છે. તેમણે કહ્યું હતું કે ‘તેમનો અનાદર કરવાનું ભૂલી જાઓ. હું મારા સપનામાં છત્રપતિ શિવાજી મહારાજની ટીકા કરનાર કોઈને પણ સહન કરી શકતો નથી.’
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ‘સમર્થ રામદાસે છત્રપતિ શિવાજી દ્વારા તેમને અર્પણ કરાયેલો મુગટ પાછો તેમના માથા પર મૂક્યો હતો અને તેમને શાસન ચાલુ રાખવાની સૂચના આપી હતી. તેમને યાદ અપાવ્યું હતું કે સાચી સેવા વ્યક્તિગત થાક છતાં પોતાની જવાબદારીઓ નિભાવવામાં રહેલી છે એવું મારો કહેવાનો અર્થ હતો.’