24 April, 2025 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મયૂર નાગડાની ફૅમિલી
ડોમ્બિવલીમાં રહેતા અને જૉબ કરતા મયૂર નાગડા ફૅમિલી અને એક ગ્રુપ સાથે અત્યારે કાશ્મીરની ટૂર કરી રહ્યા છે. શ્રીનગર બાદ તેમનું નેક્સ્ટ ડેસ્ટિનેશન પહલગામ જ હતું, પરંતુ હવે તેમણે તેમનો પ્લાન રદ કરી દેવો પડ્યો છે. અન્યોની જેમ તેમનો પણ કાશ્મીરનો પહેલો જ પ્રવાસ હતો, પરંતુ હવે અડધી ટૂર કરીને જ તેઓ પાછા ફરી રહ્યા છે.
અમારે હવે રિટર્ન થવું છે
મયૂર નાગડા કહે છે, ‘મંગળવારે આ વિકૃત ઘટના બની ત્યારે અમે થોડા ગભરાઈ ગયા હતા. અમારો નેક્સ્ટ મુકામ પહલગામ જ હતો, પરંતુ અમે ત્યાં જવાનું માંડી વાળ્યું હતું. એવું નથી કે બધા ટૂરિસ્ટો પોતાનો પ્લાન કૅન્સલ કરી રહ્યા છે. ઘણા ટૂરિસ્ટો એવા પણ છે જેઓ આજે પણ કાશ્મીરમાં મુક્તપણે ફરી રહ્યા છે. જોકે અમારી સાથે બાળકો છે એટલે હવે અમને થોડો ડર લાગી રહ્યો છે એટલે અમે રિટર્ન થવાનો નિર્ણય લીધો છે. ટૂરના પ્લાન પ્રમાણે અમારે રવિવારે રિટર્ન થવાનું હતું, પરંતુ હવે અમે શુક્રવારે જ રિટર્ન થઈ રહ્યા છીએ. અમે ગુરુવારે આવવા માટે ઘણી ટ્રાય કરી, પણ કોઈ ટિકિટ અત્યારે અવેલેબલ નથી. જોકે અત્યારે શ્રીનગરમાં અમે બધા સેફ છીએ. સુરક્ષા પણ એટલી જ છે અને લોકલ લોકો પણ ટૂરિસ્ટોને મદદ કરી રહ્યા છે.’
લોકલ લોકો પણ કંટાળ્યા
મયૂર નાગડાએ વધુમાં કહ્યું હતું કે ‘અમે અત્યારે અહીં જ છીએ એટલે અમને અહીંના લોકલ લોકો સાથે વાતચીત કરવાનો પણ મોકો મળી રહ્યો છે. તેઓ કહી રહ્યા છે કે અમે ઘણો ખર્ચ કરીને અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છીએ, પરંતુ થોડા-થોડા દિવસે કોઈ ને કોઈ આતંકવાદી ઘટના બનતી હોય છે અને ટૂરિસ્ટોને બ્રેક લાગી જતી હોય છે. અમને કમાવાનો મોકો જ મળતો નથી. આ વખતે તો પીક ટૂરિસ્ટ સીઝનમાં જ આવું થયું છે એટલે કાશ્મીરને ટૂરિઝમમાં બહુ મોટો ફટકો પડશે એવો તેમનો ડર છે.’