25 March, 2025 06:55 AM IST | Nagpur | Gujarati Mid-day Online Correspondent
બુલડોઝર (ફાઈલ તસવીર)
મહારાષ્ટ્રના નાગપુરમાં ગયા સોમવારે થયેલી હિંસા મામલે માસ્ટરમાઈન્ડ ફહીમ શમીમ ખાનના ઘરે બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. બુલડોઝરથી તેના ઘરના ગેરકાયદેસર ભાગને તોડી પાડવામાં આવ્યો છે.
આરોપ છે કે ફહીમે લોકોને ઉશ્કેરીને ભીડ એકઠી કરી હતી. કૉર્ટે તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. પોલીસે દાવો કર્યો કે આ હિંસાને ભડકાવવામાં મુખ્ય આરોપી 38 વર્ષીય ફહીમ શમીમ ખાનનો હાથ છે. શમીમ માઇનૉરિટી ડેમોક્રેટિક પાર્ટી (MDP)નો નાગપુર શહેર અધ્યક્ષ છે.
ફહીમ ખાને વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી વિરુદ્ધ ચૂંટણી લડી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ફહીમે ઉશ્કેરણીજનક ભાષણ આપીને સમુદાયના લોકોને ઉશ્કેર્યા હતા, જેના પછી નાગપુરમાં હિંસા ભડકી ઊઠી હતી. એફઆઈઆરમાં પણ તેનું નામ નોંધાયેલું છે. માહિતી પ્રમાણે, ફહીમ ખાન નાગપુરના સંજય બાગ કૉલોની યશોધરા નગરનો રહેવાસી છે.
નિતિન ગડકરી વિરુદ્ધ લડી ચૂક્યો છે લોકસભા ચૂંટણી
તે 2024ની લોકસભા ચૂંટણીમાં અલ્પસંખ્યક ડેમોક્રેટિક પાર્ટી (MDP)ની ટિકિટ પર નાગપુર સીટ પરથી ચૂંટણી લડી હતી, જેમાં તેને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી મેદાનમાં ઉતર્યા પછી તે રાજનૈતિક રીતે સક્રિય થઈ ગયો હતો અને શહેરમાં પોતાની પકડ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નાગપુર હિંસાનું ષડયંત્ર પહેલાથી જ રચી લેવામાં આવ્યું હતું. ફહીમ ખાને કેટલાક કટ્ટરપંથી લોકોને એકઠાં કરી એક સુનિયોજિત રીતે દંગા ઉશ્કેરવાનું કામ કર્યું.
તમને જણાવી દઈએ કે ઔરંગઝેબની કબરના વિવાદે સોમવારે હિંસક વળાંક લીધો હતો. મહારાષ્ટ્રના નાગપુરના મહલમાં સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેના વિવાદ બાદ હિંસા ફાટી નીકળી હતી.
મહલ પછી, મોડી રાત્રે હંસપુરીમાં હિંસા થઈ. અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી દીધી. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો. હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે 60 થી વધુ તોફાનીઓની અટકાયત પણ કરી હતી.
ઔરંગઝેબની કબર અંગે શું વિવાદ છે?
અભિનેતા વિક્કી કૌશલની ફિલ્મ `છાવા` થોડા સમય પહેલા રિલીઝ થઈ હતી, ત્યારબાદ ઔરંગઝેબનો મુદ્દો ગરમાયો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ થોડા દિવસ પહેલા ઔરંગઝેબની કબર દૂર કરવાની વાત કરી હતી. સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબને એક સારા શાસક ગણાવતા કહ્યું કે તેઓ માને છે કે ઔરંગઝેબ ક્રૂર નથી, ત્યારે વિવાદ વધુ વકર્યો.
તેમણે દાવો કર્યો હતો કે ફિલ્મો દ્વારા ઔરંગઝેબની ખોટી છબી રજૂ કરવામાં આવી રહી છે. ત્યારથી, ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગ તીવ્ર બની છે. થોડા સમય પહેલા, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ધમકી આપી હતી કે જો સરકાર ઔરંગઝેબની કબર નહીં હટાવે, તો બાબરી જેવું જ પરિણામ આવશે.