07 January, 2026 07:31 AM IST | Latur | Gujarati Mid-day Correspondent
અસદુદ્દીન ઓવૈસી
ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે લાતુરમાં કહ્યું હતું કે મતદારો ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષો દ્વારા વહેંચવામાં આવતા પૈસા સ્વીકારી શકે છે અને જો તેમને લાગે કે એ અનૈતિક છે તો એનો ઉપયોગ ટૉઇલેટ બનાવવા માટે કરી શકે છે.
લાતુરમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે એક રૅલીને સંબોધતાં અસદુદ્દીન ઓવૈસીએ નરેન્દ્ર મોદી સરકારની વિદેશનીતિ પર પ્રહારો કર્યા હતા અને વક્ફ (સુધારા) કાયદાની પણ ટીકા કરી હતી. તેમણે રૅલીને સંબોધતાં કહ્યું હતું કે ‘AIMIM ચૂંટણીના મેદાનમાં ઊતર્યા પછી જ વિરોધી રાજકીય પક્ષોએ મતદારોમાં રોકડનું વિતરણ શરૂ કર્યું. જો અમે ઉમેદવારો ઊભા ન કર્યા હોત તો પૈસાનું વિતરણ ન થયું હોત. પૈસા લો અને જો તમને લાગે કે એ અનૈતિક અને ‘હરામ’ (ગેરકાયદે) છે તો એનો ઉપયોગ ટૉઇલેટ બનાવવા માટે કરો.’