17 May, 2026 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે
મરાઠા અનામતના મુદ્દા પર મરાઠા પ્રદર્શનકારી નેતા મનોજ જરાંગે પાટીલ ફરી એક વાર આક્રમક બન્યા છે. તેમણે રાજ્યવ્યાપી વિરોધ-પ્રદર્શનની જાહેરાત કરી છે. ગઈ કાલે સવારે તેમણે સરકાર સમક્ષ કેટલીક માગણીઓ મૂકી હતી. તેમણે મરાઠા સમુદાયને ૩૦ મે સુધીમાં કુણબી પ્રમાણપત્ર આપવાની માગણી પણ કરી હતી.
પત્રકાર-પરિષદ પછી મરાઠા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી મનોજ જરાંગેએ વિરોધ-પ્રદર્શનની તારીખ જાહેર કરી હતી. તેઓ ૩૦ મેથી આમરણ અનશન પર જશે. તેમણે રાજ્યભરમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ-પ્રદર્શન કરવાનું પોતાનું વલણ પણ જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે ‘વિરોધ શરૂ થાય એ પહેલાં સરકારે વિરોધ અંગે યોગ્ય પગલાં લેવાં જોઈએ. એક વાર વિરોધ શરૂ થઈ જાય પછી પાછા હટીશું નહીં અને કોઈની વાત સાંભળીશું નહીં.’
શું માગણીઓ કરી?
મનોજ જરાંગેએ વિવિધ માગણીઓ કરી છે કે ‘સરકારે મરાઠા અનામત અંગેની પેટા-સમિતિને બરતરફ કરવી જોઈએ. આ સમિતિ કંઈ કરી રહી નથી. અનામત માટે નવી સમિતિની રચના કરવી જોઈએ. હૈદરાબાદ ગૅઝેટ મુજબ મરાઠા સમુદાયને કુણબી પ્રમાણપત્રોનું વિતરણ બંધ થઈ ગયું છે એ ફરી શરૂ કરવું જોઈએ.’.
સરકારને અલ્ટિમેટમ આપતાં મનોજ જરાંગેએ કહ્યું હતું કે ‘સરકારે ૩૦ મે સુધીમાં મરાઠા અનામત અંગેની તમામ માગણીઓ સ્વીકારવી જોઈએ. સરકારે સાતારા, પુણે અને કોલ્હાપુર રાજ્યોના ગૅઝેટનો અમલ કરવો જોઈએ. ઉપરાંત મરાઠા વિરોધીઓ સામે નોંધાયેલા કેસ તાત્કાલિક પાછા ખેંચવા જોઈએ. અમે એક પણ વ્યક્તિને બંધ કરવામાં આવે એ સહન કરીશું નહીં.’