૫૬ લાખ ખેડૂતોનું બે લાખ સુધીનું કૃષિ દેવું માફ; કૅબિનેટની મળી મંજૂરી

03 June, 2026 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે મહારાષ્ટ્રમાં વિધાનપરિષદની ચૂંટણી નજીકમાં રહી હોવાથી આદર્શ આચારસંહિતા અમલમાં છે.

દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્ર સરકારે ચોમાસાની સીઝન શરૂ થાય એ પહેલાં રાજ્યના ખેડૂતો માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંગળવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટની બેઠકમાં ‘ખેડૂત દેવામાફી યોજના’ને લીલી ઝંડી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોની બે લાખ સુધીની કૃષિ લોન માફ કરવામાં આવશે જેનાથી રાજ્યના આશરે ૫૬ લાખ ખેડૂતોને સીધો મોટો ફાયદો થશે.

આ દેવામાફી યોજના હેઠળ રાજ્યના ૬૫ લાખથી વધુ બૅન્ક-ખાતાંઓ આવરી લેવામાં આવશે. આનાથી ખેડૂતોનું અંદાજે ૩૬,૫૮૫ કરોડ રૂપિયાનું દેવું માફ થવાની ધારણા છે. આ ઉપરાંત, કૅબિનેટમાં એવો પણ એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે કે જે ખેડૂતોએ પોતાની લોનની નિયમિત અને પ્રામાણિકપણે ભરપાઈ કરી છે તેમને પ્રોત્સાહન તરીકે ૫૦,૦૦૦ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે જેથી નિયમિત વ્યાજ ભરનારા ખેડૂતોને પણ અન્યાય ન થાય.

જોકે મહારાષ્ટ્રમાં વિધાનપરિષદની ચૂંટણી નજીકમાં રહી હોવાથી આદર્શ આચારસંહિતા અમલમાં છે. આ ટેક્નિકલ કારણોસર સરકાર દ્વારા અત્યારે આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આચારસંહિતા પૂર્ણ થતાં જ ખેડૂતોનાં ખાતાંમાં પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.  

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra devendra fadnavis