06 September, 2024 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લાલબાગચા રાજા
મુંબઈના લાડકા લાલબાગચા રાજાનાં આ વર્ષનાં પ્રથમ દર્શનનું આયોજન મંડળ દ્વારા ગઈ કાલે કરવામાં આવ્યું હતું. આ વર્ષે લાલબાગચા રાજામાં મહેલનો સેટ બનાવવામાં આવ્યો છે. આર્ટિસ્ટ યોગેશ પોપટે આ મહેલ તેમની ટીમ સાથે ઊભો કર્યો છે.
લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના અધ્યક્ષ બાળાસાહેબ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડેકોરેશનમાં એક બાજુ શંકર અને બીજી બાજુ પાર્વતીની મૂર્તિ છે તથા વચ્ચે ગણપતિ બિરાજમાન કરવામાં આવ્યા છે. હજી એક નવીનતા છે જે આવતી કાલે જ ઓપન કરવામાં આવશે.’
રાજાના શિરે આ વર્ષે ૨૦ કિલો સોનાનો મુગટ છે જે અંબાણી પરિવારે અર્પણ કર્યો છે. એની કિંમત ૧૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. મંડળે આ માટે અનંત અંબાણીનો જાહેરમાં આભાર માન્યો છે. અંનત અંબાણીનાં થોડા વખત પહેલાં જ લગ્ન થયાં છે અને તેને લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં ઑનરરી મેમ્બર તરીકે લેવામાં આવ્યા છે.
ઝીણી કોતરણીવાળી ગોલ્ડન અને સિલ્વર ડિઝાઇન સાથે રાજાની પાછળ બન્ને તરફ મહેલની દીવાલ પર મોરની સજાવટ પણ કરવામાં આવી છે.