01 February, 2025 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પિંપરી–ચિંચવડની યશવંતરાવ ચવાણ મેમોરિયલ હૉસ્પિટલમાં ૨૧ જાન્યુઆરીએ દાખલ થયેલા ૩૨ વર્ષના કૅબ-ડ્રાઇવરનું ગુરુવારે ગિયાન બારે સિન્ડ્રૉમ (GBS)ને કારણે મોત થયું હતું. એ પછી ગઈ કાલે પુણેના સિંહગઢ રોડ પર આવેલા ધાયરી વિસ્તારના ૬૦ વર્ષના સિનિયર સિટિઝનનું મોત થયું હતું. તેમના મોત સાથે અત્યાર સુધી GBSમાં જીવ ગુમાવનારની સંખ્યા ચાર પર પહોંચી ગઈ છે.
ધાયરીના ૬૦ વર્ષના બુઝુર્ગને ૨૭મીએ જુલાબ થવાથી અને બહુ જ અશક્તિ આવી ગઈ હોવાથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર હૃદયરોગનો હુમલો આવવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
કૅબ-ડ્રાઇવરના મોત પછી યશવંતરાવ ચવાણ મેમોરિયલ હૉસ્પિટલમાં એક્સપર્ટ્સની એક ખાસ કમિટીએ આ સંદર્ભે તપાસ કરી હતી, જેમાં તેઓ એવા તારણ પર પહોંચ્યા હતા કે તે દરદીને ન્યુમોનિયા થયો હતો એથી તેને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. એ સાથે જ બાવીસ જાન્યુઆરીએ તેના પર કરવામાં આવેલી નર્વ કન્ડિશન ટેસ્ટમાં તેને GBS થયો હોવાનું પણ જણાઈ આવ્યું હતું. મહારાષ્ટ્રમાં GBSના શંકાસ્પદ દરદીઓની સંખ્યા હવે ૧૪૦ પર પહોંચી ગઈ છે, જેમાંથી ૯૮ને તો GBS થયો હોવાનું કન્ફર્મ થઈ ગયું છે.